ગોપી ચૌહાણની ચાલમાં રહેતા પરપ્રાંતિય દંપતી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પત્નીને માર મારી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન થયેલું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે પંચાયત કચેરીની નજીકની ચાલીમાં પતિએ પત્ની ઉપર હિંસક હુમલાથી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ઘટના તારીખ 26/11/2024 ના રોજ રાત્રિના 10 કલાકના સમયે બનવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે પંચાયતને અડીને આવેલ ગોપીભાઈ ચૌહાણની ચાલ રૂમ નંબર 47 માં રહેતા દંપતી રવિકુમાર હંસરાજ શર્મા અને પરમિલા દેવી વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. આ દરમિયાન પતિ રવિ કુમાર શર્મા ઉશ્કેરાટમાં આવી જઈ તેની ધર્મ પત્ની પરમીલા દેવીને માર મારતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી બેહોશ અવસ્થામાં કરી દીધી હતી. આ ઘટનાની જાણ ચાલના માલિક ગોપીભાઈ ચૌહાણને અન્ય લોકો દ્વારા કરવામાં આવતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે રૂમના બહારના પેસેજમાં લોહી લુહાણહાલતમાં રવિ શર્માની ધર્મપત્ની પરમીલા દેવી શર્મા બેહોશીની હાલતમાં પડી હતી. અને રવિ શર્મા રૂમના દરવાજા બંધ કરી અંદર સૂઈ ગયો હતો. મકાન માલિકે તેને ઉઠાડી ઉપરોક્ત ઘટનાની જાણકારી મેળવતા રવિ કુમારે જણાવ્યું હતું કે, અમારા બંને વચ્ચે ઘરેલુ ઝઘડામાં બોલાચાલી થઈ હતી અને મારાથી માર મરાયો છે.
આ ઘટના બાદ ચાલીના માલિકે ગંભીર ઈજાનો ભોગ બનેલી પરમિલા દેવીને સારવાર અર્થે ભિલાડની સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને વધુ સારવારની જરૂરિયાત જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તારીખ 27 નવેમ્બર ના રોજ સારવાર દરમિયાન પરમીલા દેવી રવિ કુમાર શર્માનું કરુણ મોત થવા પામ્યું હતું. જે ઘટનાની ફરિયાદ રૂમ માલિક ગોપીભાઈ ચૌહાણે પોલીસ મથકે કરતા આગળની તપાસ હાથ ધરી છે.