(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ જોગી, પૂર્વ અધ્યક્ષ શ્રી જોગીભાઈ ટંડેલ, સંસ્થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ અને ઓ.એસ.ડી. શ્રી રમેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી વિવેક ભાઠેલા, સભ્યો શ્રી મૃદુલ ટંડેલ, શ્રી જયંતિભાઈ ટંડેલ અને શ્રી પીનલભાઈ શાહે પણ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે શાળાના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ જોગીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવતા શિક્ષકનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે માતા-પિતા પછી શિક્ષકો જ આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ નથી આપતા, પરંતુ તેમના અનુભવ અને માર્ગદર્શનથી આપણું જીવન સફળ બનાવવામાંપણ મદદ કરે છે.
સંસ્થાના સેક્રેટરી શ્રી રુદ્રેશ ટંડેલે શિક્ષક દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં પોતાનો સંદેશ રજૂ કરતાં જણાવ્યું હતું કે શિક્ષક એ એવી વ્યક્તિ છે કે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ જણાવે છે અને નાનપણથી જ સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૃત્ય અને પ્રવચન જેવા કાર્યક્રમો સામેલ હતા. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના બાળકો સાઇનિંગ સ્ટાર્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આજના સમગ્ર કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ મિષાી, સુપરવાઈઝર શ્રી બી.ડી. જગતાપ, માધ્યમિક વિભાગના એચ.એમ.શ્રીમતી શીતલ પટેલ અને પ્રિ-શાળાના એચ. એમ. શ્રીમતી વૈશાલી પટેલ વગેરેએ વિદ્યાર્થીઓને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા બદલ બિરદાવ્યા હતા.