(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: આર. કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ વાપીમાં તારીખ ૦૫/૦૯/૨૦૨૪ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કમિટીના નેજા હેઠળ ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. ચાણક્ય એ પણ કહ્યું છે ને “शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं.” આ શબ્દો જ શિક્ષકની અસાધારણ વિશેષતાઓને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રીઓએ શિક્ષક દિવસ નિમિત્તે વક્તવ્ય આપી કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓ ને આશીર્વચનો પાઠવ્યા હતા. ત્યારબાદ “શિક્ષકનું મહત્વ” દર્શાવતું સુંદર નાટક, ગુરુનું મહાત્મ્ય દર્શાવતું સ્વાગત ગીત, ગેમ, સંગીત ખુરશી, ગીત, ભજન વગેરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. અધ્યાપકો માટે પણ વિદ્યાર્થીઓએ સુંદર ગેમ નું આયોજન કરવા આવ્યું હતું જેમાં વિદ્યાર્થી અવસ્થામાં રહેલી સુસુપ્ત શક્તિનો વિકાસ કઈ રીતે થાય તે અંગે ગેમ રાખવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દરેક અધ્યાપકોને ફૂલ નહિ તો ફુલની પાંખડી અર્પણ કરી સમ્માન કર્યા હતા. અને ડો.સર્વપલ્લી રાધકૃષ્ણન્ નાં જન્મ દિન નિમિતે કેક કાપી સર્વ વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે બધા જ પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પોતાના આશીર્વચનો તથા અનુભવ રજૂ કર્યા અને આ રીતે કાર્યક્રમનું સુંદર અને જ્ઞાન સભર અંત થયો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ અને કોલેજના સર્વ આચાર્યએ તેમજ અધ્યાપકોએ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.