છેલ્લા અઠવાડિયાથી લઈ આજદિન સુધી હજારો ગણેશ મૂર્તિઓની ભાવિકોએ વાજતે ગાજતે પધરામણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: ભારતના સનાતન ધર્મનીઆસ્થા સાથે સંકલાયેલા રિધ્ધિ-સિધ્ધિના દાતા દેવતા એવા ગણેશજીના મહામહોત્સવનો શનિવારથી ભવ્ય પ્રારંભ થશે. દશ દિવસ ચાલનારા ગણેશ મહોત્સવની પૂર્વ તૈયારીઓ ભાવિકો, ગણેશ ભક્તોએ અઠવાડીયાથી આરંભી દીધી છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના પુણ્યશાળી દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ગણેશજીના મહા મહોત્સવનો શુભારંભ થશે.
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણીની આતુરતા ગણેશ ભક્તો મહિનાઓ પહેલાથી કરતા હોય છે. છેલ્લા અઠવાડિયાથી નયનરમ્ય કલાત્મક ગણેશ મૂર્તિઓની પધરામણીઓ શરૂ થઈ ગઈ છે. સુંદર રીતે સજાવેલ સેંકડો ગણેશ પંડાલોમાં બાપ્પાની વિધિવત સ્થાપના થશે અને દશ દિવસ અનંત ચૌદશ સુધી દરરોજ આરતી, પૂજા, અર્ચના ગણેશ ભક્તો તન મનથી કરશે. ગણેશ સ્થાપના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસની પરંપરા છે તે મુજબ ત્યારબાદ ગણેશજીની મૂર્તિઓનું ભાવિક ભક્તો, નદી, તળાવ, કે દરીયામાં અશ્રુભીની આંખે બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરશે. અગલે વરસ લૌકરીયા કહી બાપ્પાને ભાવભીની વિદાય અપાશે.