(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલીમાં કાવેરી નદી સ્થિત રિવરફ્રન્ટ ઉપર વિશેષ વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ચીખલી – ગણદેવી તાલુકાના ગામે ગામ અનંત ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને શણ ગારેલા રથમાં બેસાડી ડીજે સંગીતના તાલે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળ સાથે વિવિધ મંડળોની નીકળેલ ભવ્ય વિસર્જન યાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકર યા ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
કાવેરી નદીના રિવરફ્રન્ટ સ્થિત ઓવારા પાસે ચીખલી ઉપરાંત સમરોલી, ખૂંધ, થાલા, સાદકપોર ગોલવાડ સહિતના વિસ્તારના મંડળો દ્વારા બાપ્પાની મૃતિઓનુંવિસર્જન કરાતું હોય છે. જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે ચીખલી ગામના સરપંચ વિરલભાઈ દ્વારા સ્ટેજ ઉભું કરી બેસવાની અને જરૂરી લાઇટિંગ ઉપરાંત સવારે 11-વાગ્યાથી જ પાણી અને પાઉ બટાકાની હજ્જારો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ગણેશ ભક્તોની સલામતી માટે જરૂરી બેરીકેટિંગ પણ કરવામાં આવ્યા હતા. ચીખલી ગ્રામ પંચાયત, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ મૂર્તિના વિસર્જન માટે તરવૈયાની પણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અને આ માટે વર્ષે મંડળો પાસે ફી પણ ન લેવાનું નક્કી કરાયું હતું.
ચીખલીમાં વધુ ઊંચાઈની મૂર્તિઓ માટે જુના પુલ પર ક્રેઇન પણ વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત રિવરફ્રન્ટ ઉપર સ્પંદન હોસ્પિટલના સહયોગથી મેડિકલ ટિમ પણ તૈનાત રાખવામાં આવી હતી. સાથે ફાયર ફાઇટર, ટયુબ અને જેકેટની પણ વ્યવસ્થા કરાઈ હતી.
ચીખલી રીવર ફ્રન્ટ ઉપર બપોરથી જ વિસર્જન શરૂ થવા સાથે મોડી રાત સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું. અને હજ્જારો લોકોની મેદની ઉમટી પડી હતી. તાલુકામાં મલિયાધરા, ઘેજ ગામે ખરેરા નદીમાં તથા ગામે ગામ સ્થાનિક નદી અને તળાવોમાં બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરી બાપ્પાને વિદાય અપાઈ હતી. થાલા બગાલાદેવ સ્થિત મંડળ દ્વારા માટીનીમૂર્તિની સ્થાપના કરેલ હોય વિસર્જન યાત્રા યોજી સ્થાપના સ્થળ પર જ વિસર્જન કરવામાં આવ્યું હતું. અને જેનું સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ પણ કરાયું હતું.
ચીખલીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોમી એકતાના દર્શન થયા હતા. ચીખલી મુસ્લિમ સમાજના શબ્બીરભાઈ, નૈસદભાઈ, સાજીદભાઈ, મકબુલભાઈ, શાહનવાઝભાઈ, મુન્નાભાઈ, ઈંદ્રિશભાઈ સહિતના મુસ્લિમ આગેવાનોએ શ્રી સાર્વજનીક ગણેશ મંડળ બજાર સ્ટ્રીટ ચીખલી ખાતે પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. સમગ્ર તાલુકામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થયું હતું.