54 વર્ષના આધેડ માનસિક અસ્થિરતા સાથે ભટકતા હરિયાણાના સિરસા ખાતે આવેલ ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં પહોંચતા મનોચિકિત્સકોની સારવાર દરમિયાન વાપી-દમણના હોવાનું કહેતાં પરિવારજનો સાથે થયો મેળાપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : બે વર્ષ પહેલાં ગુમ થયેલ 54 વર્ષના આધેડનો આજે પોતાના પરિવાર સાથે મેળાપ કરાવતા અનેક સંવેદનશીલ દૃશ્યો સર્જાયા હતા અને પત્ની, પુત્રો સહિતના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણના પરિયારી પંચાયત વિસ્તારમાં રહેતા 54 વર્ષિય વિનોદ રામજી વારલી ગુમ થયા હતા. પરિવાર દ્વારા તેમની નિરંતર શોધ ચાલુ હતી તેમાં પરિયારી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિને તેમના ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા નડિયાદના મિત્ર એ.એસ.આઈ. ગજેન્દ્રએ વોટ્સ એપના માધ્યમથી સંપર્ક કર્યોકે, વિનોદ રામજી વારલી હરિયાણાના સિરસા ખાતે ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં છે અને પત્ની અને પુત્ર સાથે વિનોદ રામજી વારલીની વોટ્સ એપ ઉપર વાતચીત કરાવતા પરિવાર હર્ષના આંસુઓથી નાહી પડયો હતો અને આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ અને શ્રી વિનોદ વારલીના પુત્ર પોતાના પિતાને લેવા માટે હરિયાણા સિરસા ખાતે ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં દોડી ગયા હતા.
આ સમગ્ર પ્રકરણમાં દમણ લાવવામાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શ્રી ચેતન પટેલ તથા દમણના મામલતદાર શ્રી પ્રેમજી મકવાણાએ ખુબ જ ઉમદા સહયોગ કર્યો હતો. છેવટે ઘરે આગમન થતાં પિતા-પુત્ર અને પતિ સહિત સમગ્ર પરિવાર ખુબ જ ભાવુક બની ગયો હતો.