(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીના નરોલી ગામની પૃથ્વીરાજ ચૌહાણ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતની પ્રસ્તુતિથી કરવામાં આવી હતી.
ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેરના ચેરમેન શ્રી એમ.વી.પરમારે પોષક તત્વો અંગે બાળકોએ જાણકારી આપી હતી. સાથે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’માં માતાના દૂધની ઉપયોગીતા અને તેનું મહત્ત્વ તેમજ માતાને શરૂઆતના દૂધ પહેલાં રસીકરણ અંગે ઉપસ્થિત મહિલાઓ, શાળાની શિક્ષિકાઓને જાણકારી આપવામાં આવી હતી. સાથે કુપોષણ દૂર કરવા માટે યોગ્ય સંતુલિત ખોરાક અને સસ્તા સરળ પોષક આહાર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ અવસરે ‘સ્તનપાન’ અને ‘કુપોષણ’ વિષય ઉપર આયોજીત વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારઆપી સન્માનિત કરાયા હતા.
દરમિયાન નરોલી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. કવિ દરૂએ માતાના દૂધનું મહત્ત્વ અને ઉપરના આહાર અંગે જાણકારી આપી હતી. ડો. જાગૃતિ પટેલે દાંતની સારસંભાળ માટેની જાણકારી આપી હતી. ત્યારબાદ ઈપકા લેબોરેટરી કંપની દ્વારા પૌષ્ટિક ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. શાળાની આચાર્યા શ્રીમતી અનીશા ખલીફાએ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન અંશુમાન તિવારી દ્વારા કરવામા આવ્યું હતું.