વિભાગના જિ.પં.સભ્ય રીનાબેન પટેલની વરણી
જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનું વિકાસની દૃષ્ટિએ વ્યુહાત્મક મહત્વ હોવા છતાં રીનાબેન પટેલે અનેક પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે : તમામ વોર્ડમાં સમતોલ વિકાસ માટે રાખવો પડશે આગ્રહ
હાલમાં દમણ જિ.પં.ના બહુમતિ સભ્યો ભ્રષ્ટાચાર મુક્ત, પ્રમાણિક અને સ્વચ્છ શાસનના હિમાયતી હોવાથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થવાની શક્યતા નહિવત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે સોમનાથ-એ વિભાગના જિ.પં. સભ્ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનું વિકાસનીદૃષ્ટિએ વ્યુહાત્મક મહત્વ રહેલું છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રીમતી રીનાબેન પટેલે અનેક પડકારોનો પણ સામનો કરવો પડશે.
સોમનાથ-એ વિભાગના જિ.પં.સભ્ય શ્રીમતી રીનાબેન પટેલ પાસે આગવી નેતૃત્વ શક્તિ અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન આપવાની નેમ હોવાથી તેઓ જિલ્લા પંચાયતના તંત્ર સાથે સમન્વય રાખી વિકાસના કામોને અગ્રતા આપશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે અને જિલ્લા પંચાયતના તમામ વોર્ડમાં સમતોલ વિકાસના ફળ પહોંચે તેની પણ તેઓ તકેદારી રાખશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
અત્રે યાદ રહે કે, ભૂતકાળમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ ઉપર અનેક કલંકો લાગ્યા હતા. છેવટે પ્રશાસને સત્તા અને શક્તિ ઉપર કાપ મૂકવાનો નિર્ણય પણ લેવા પડયો હતો. પરંતુ હાલની જિલ્લા પંચાયતના બહુમતિ સભ્યો ભ્રષ્ટાચાર મુક્ત પ્રમાણિક અને સ્વચ્છ શાસનના હિમાયતી હોવાથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થવાની શક્યતા નહિવત હોવાનું માનવામાં આવી રહ્યું છે.