-
શનિવારે વહેલી સવારે જમ્પોર ઘાટથી લઈ રવિવારે રાત્રિ સુધી બામણપૂજા ચેકપોસ્ટ સહિત વિવિધ વિકાસલક્ષી અને નિર્માણાધિન પ્રોજેક્ટોની લીધેલી મુલાકાત
-
દમણમાં પ્રશાસકશ્રીના વિકાસ કામોના નિરીક્ષણ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ એ.સી. બસમાં બિરાજમાન થતાં લોકોને ટ્રાફિક જામથી મળેલી રાહત
-
અધિકારીઓએ પોતાની વ્યક્તિગત ગાડીનો ઉપયોગ નહીં કરતાં બળતણની પણ થયેલી બચતઃ અનુશાસન અને સહકારિતાનો પણ મળેલો પરિચય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે અને શનિવારે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરેલી વિકાસકામોના નિરીક્ષણની કવાયત રાત્રિના 8:00 વાગ્યા સુધી ચાલી હતી. તમામ ઉચ્ચ અધિકારીઓ બંને દિવસ એ.સી. બસમાં બિરાજમાન થઈને પ્રશાસકશ્રીના અભિયાનમાં જોડાયા હતા. જેના કારણે લોકોને અધિકારીઓની ગાડીથી થતા ટ્રાફિકજામમાં પણ છૂટકારો મળ્યો હતો અને સરકારના બળતણની પણ બચત થઈ હતી અને સમગ્ર પ્રશાસન પણ અનુશાસનમાં લાગતુ હતું.
પ્રશાસકશ્રીએ આજે સવારે 7:00 વાગ્યાથી નાની દમણ વિસ્તારમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં ચાલી રહેલા નિર્માણ અને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સવારે પોલીસ હેડ ક્વાર્ટરથી ભીમપોર ચારરસ્તા રોડ, દલવાડા સ્કૂલ, ભીમપોર ચારરસ્તાથી શીતલ ચોકડી, ભીમપોર આશ્રમ શાળા, પાતલિયા તળાવ, પાતલિયા પુલ, ટ્રાન્સપોર્ટ નગર, દુણેઠા તળાવ, ભેંસલોર સ્કૂલ, સરકારી કોલેજ નાની દમણ પાસે નિફટ પરિસર, વરકુંડ પંચાયત ઘર, વરકુંડ સ્કૂલ, રીંગણવાડા પંચાયત ઘરનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે સાંજે 5:00 વાગ્યાથી શરૂ કરેલી બીજી ઈનિંગમાં ખારીવાડ પ્રેસિડેન્સી હોટલ રોડની પાસે એસટીપી સાઈટ, સરકારી એન્જિનિયરીંગ કોલેજ, ડીગ્રી એન્જિનિયરીંગ કોલેજની પાસે સંપાદિત ઓલ ઈન્ડિયા રેડિયોની સાઈટ, દાભેલસ્કૂલ, દાભેલ સ્ટેડિયમ, સડક અને સૌંદર્યીકરણ સહિત ઘેલવાડ પંચાયત ઘર વગેરેનું ખુબ જ ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.
દરમિયાન શનિવારે સવારે 7:00 વાગ્યાથી બપોર સુધી મોટી દમણના જમ્પોર ઘાટ, વારલીવાડ સ્કૂલ, પરિયારી રોડ, મગરવાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડી.એમ.સી. રોડ, નાની દમણ મ્યુનિસિપાલિટીના વેક્યુમ બેઝ ગટર, પ્રસ્તાવિત નાઈટ માર્કેટ, જૈન સ્ટ્રીટ રોડ, બોટ પાર્કિંગ, નાની દમણ કિલ્લાનું બ્યુટિફિકેશન, ગો-કાર્ટિંગ સાઇટ, સી-લિંક બ્રિજ, સરકિટ હાઉસ પાસે ટોયલેટ બ્લોક, ન્યુ કન્વેન્શન હોલ, મરવડ હોસ્પિટલ જેવા વિવિધ વિકાસલક્ષી અને નિર્માણાધિન કાર્યોની મુલાકાત લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને યોગ્ય દિશા-નિર્દેશ આપ્યા હતા.
પ્રશાસકશ્રીના નિરીક્ષણ કાર્યો સાથે સલાહકાર શ્રી ડી.એ.સત્યા, નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, જાહેર બાંધકામના સચિવ શ્રી અસકર અલી સહિત આઈ.એ.એસ. અને દાનિક્સ અધિકારીઓ જોડાયા હતા.