April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

શત્રુના સારા ગુણોને ગ્રહણ કરી સમગ્ર સ્ત્રીજાતને બહેન-માતા સમજી આખા જગતને નૈતિક અને સાત્‍વિક બનાવી જગતનું સાંસ્‍કૃતિક અને નૈતિક પુનરૂત્‍થાન કરવાનો રહેલો વિશિષ્ટ ભાવ

હિન્‍દુ ધર્મમાં દાનનું ઘણું જ મહત્‍વ બતાવવામાં આવ્‍યું છે. જ્‍યારે અમે દાનવીરતાની વાત કરીએ ત્‍યારે અમારા મનમાં સહજ રીતે અંગરાજ કર્ણની તસ્‍વીર અમારી નજર સામે આવે છે. આઠ મહાન દાનવીરોથી હિન્‍દુધર્મના ગ્રંથો ભરેલા પડયા છે. આવો હિન્‍દુધર્મના મહાન આઠ દાનવીરો દૈત્‍યરાજ બલિ, મહર્ષિ દધીચિ, મહારાજ નૃગ, રાજા હરિશ્ચંદ્ર, રાજા શિબિ, રાજા રઘુ, બર્બરીક અને દાનવીર કર્ણ.. વિશે જાણીએ.
બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્‍યક્‍તિ સૌથી મોટી દાની છે. શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાનભોગ અને નાશ. દાન આપવામાં આપનારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે. ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે, જે આપતો નથી અને ભોગવતો પણ નથી તેના ધનનો નાશ થાય છે. તમામની સેવા કરવાથી શરીર પવિત્ર બની જાય છે, દાન આપવાથી ધન પવિત્ર બની જાય છે.
કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે. માણસે પોતાના સમયનો સદ્‌ઉપયોગ દાન આપવામાં પુણ્‍ય કાર્યમાં અને શાસ્ત્રોનો અભ્‍યાસ કરવામાં કરવો જોઈએ. જે કંઇ દાન આપવાના શુભ સંકલ્‍પની સ્‍ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો. સામાન્‍ય રીતે મનુષ્‍યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને પણ કોઇપણ ચીજ આપવા ઇચ્‍છતો જ નથી પરંતુ ક્‍યારેક કોઇને કંઇપણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું. જીવનમાં આપણે જે કંઇ ખાધુંપીધું ભોગવ્‍યું તેની કોઇ કિંમત નથી. આપણે બીજાને કેટલું આપ્‍યુંન..? તેનું જ મૂલ્‍ય છે.
જે વ્‍યક્‍તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
જે વસ્‍તુનું તમે આ જન્‍મમાં દાન કરો તે આવતા જન્‍મમાં તમને મળે. ભાગવતમાં લખ્‍યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો, પછી પરિસ્‍થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્‍યારના જમાનામાં તો 1% આપે તો પણ ઘણું) ગૃહસ્‍થનો દાન આપવાનો ધર્મ છે. સાધુ-સન્‍યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે. ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું. દાનથી ધનની શુદ્ધિ થાય છે.
ભિખારી ભીખ માંગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્‍મમાં મેં દાન આપ્‍યું નહિ તેથી મારી આ દશા થઈ છે. તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્‍થામાં છોકરાઓ પાસે માંગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે છૂટ છે. કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે, માત-પિતાની સેવા કરતાં નથી. થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.
ગૃહસ્‍થ દાન આપે પણ અતિદાન ન આપે. સાધુ-સંન્‍યાસી અને બ્રાહ્મણને આપવું તે ગૃહસ્‍થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ન આપો કે જે દાન આપ્‍યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી થાય. દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે. દાન આપનારો મોટો ગણાય છે. દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
વામન ભગવાન બલિરાજાને ત્‍યાં દાનલેવા ગયા અને દાન લઈ તેના ઘેર પહેરો ભરવો પડયો. જે દાન લે છે તે બંધનમાં પડે છે. વામનજીએ દાન લઈ સ્‍વર્ગનું રાજ્‍ય ઇન્‍દ્રને અને પાતાળનું રાજ્‍ય બલિરાજાને આપ્‍યું હતું. જે દાન લે છે તે બંધનમાં પડે છે. દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ લઈને જ આવે છે. મૃત્‍યુ પછી કોઈ કહેવાનું નથી કે મને કંઈક આપો એટલે પરોપકાર કરવો એ જ જીવનનો ઉદ્દેશ્‍ય છે.
પ્રહ્‌લાદના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર બલિને સૌથી મોટા દાનવીર માનવામાં આવે છે. બલિરાજા અતિ ધાર્મિક અને સાત્‍વિક હતા અને મોટા મોટા યજ્ઞો કરતા હતા. બલિરાજાનો દેવરાજ ઇન્‍દ્ર સાથે વિરોધ હતો અને કદાચ તે ઇન્‍દ્રાસન લેશે તો? એવા ડરથી ભગવાન વિષ્‍ણુએ ઇન્‍દ્રને સંભાળવાનું માથે લીધું અને યજ્ઞમાં ભગવાન વિષ્‍ણુ વામનરૂપ લઈને ગયા. આ બટુકને જોઈને બલિએ કહ્યું કે તારે જે માંગવું હોય તે માંગ ત્‍યારે વામને કહ્યું કે મારે ત્રણ પગલાં ભૂમિ જોઈએ. આ સમયે બલિના ગુરૂ શુક્રાચાર્યજીએ કહ્યું કે મૂરખ! તું આવું ના કરીશ, આ તારી મૂર્ખાઇ છે. બટુકના રૂપમાં આ સાક્ષાત ભગવાન વિષ્‍ણુ છે. તને ખબર છે વામન તને મારી નાખશે. બલિ કહે છે કે વાંધો નહીં. ભગવાન વિષ્‍ણુના હાથે મરણ થાય તો મારૂં કલ્‍યાણ થશે. ભગવાન વામને ભૂમિ લેવા માંડી. એક પગલામાં પૃથ્‍વી, બીજા પગલામાં ત્રિભુવન લીધુંઅને પૂછ્‍યું કે ત્રીજું પગલું ક્‍યાં મુકું? આપેલું વચનનું પાલન કરો ત્‍યારે ત્રીજો પગ મુકવા બલિએ પોતાનું મસ્‍તક આગળ કરી દીધું. વામને ત્રીજું પગલું તેને માથે મુકતાં જ તે પાતાળમાં ધકેલાઈ ગયો. બલિ ઉપર ભગવાન વામન ઘણા જ પ્રસન્ન થયા અને તેને ચિરંજીવી બનાવીને પાતાળલોકનું સ્‍થાયી રાજ્‍ય પ્રદાન કર્યું અને ભગવાને ત્‍યાં બલિનું પોષણ કરવાનું વચન આપ્‍યું આ આપણી પૌરાણિક કથા છે.
અહીં પ્રશ્ન થાય કે બલિ પરમ ભક્‍ત હતો તો તેને આમ દાટવાનું કારણ શું? પુણ્‍ય હોય તો ગમે તે ઇન્‍દ્ર થાય તો ઇન્‍દ્રનો પક્ષ લઇને તેને મારવાનું શું કારણ? વામન અવતાર એ રૂપકાત્‍મક છે.
હિરણ્‍યકશિપુના પુત્ર પ્રહ્‌લાદે સંસ્‍કૃતિના પ્રચાર માટે ઘણા પ્રયત્‍ન કર્યા. ત્‍યાર પછી તેમનો પુત્ર વિરોચન નાસ્‍તિક નીકળ્‍યો. પિતા કરતાં દાદાના સંસ્‍કાર પૌત્રમાં વધુ આવે છે. વિરોચનનો પુત્ર બલિ બુદ્ધિશાળી અને રાજનિપૂણ હતો. તેને નિસ્‍તેજ સમાજ બનાવ્‍યો. સમાજમાંથી ભગવદ્‌નિષ્ઠા અને પ્રભુ પ્રેમ ચાલ્‍યાં ગયાં. વર્ણવ્‍યવસ્‍થા ખલાસ કરીનાખી. લોકોમાંથી ભગવાન ઉપરનો પ્રેમ ચાલ્‍યો ગયો. દૈવીસંસ્‍કૃતિ નષ્ટ થઈ. ભોગવિલાસ પ્રમુખ બન્‍યા.
ત્રણ પગલાં પૃથ્‍વી માંગી તેનો અર્થ છે. (1)યજ્ઞ અને કર્મકાંડમાં જ બ્રાહ્મણો રોકાયેલા હોવાથી તેમની તેજસ્‍વિતા ચાલી ગઈ હતી. સમાજમાં સાંસ્‍કૃતિક અને નૈતિકજીવન નિર્માણ કરવું બ્રાહ્મણોનું કામ છે. એટલે શિક્ષણતંત્ર બ્રાહ્મણોને આપ્‍યું. (ર)રાજ્‍યકારભાર કરતા ક્ષત્રિયો જડવાદી નહીં પણ ઈશ્વરવાદી હોવા જોઈએ. (3)ઈશ્વરને માનવાવાળા, ઈશ્વરના કાર્ય માટે જ હું જન્‍મ્‍યો છું એમ માનવાવાળા સાત્‍વિક વિચારના હોય તે જ ધંધો કરી શકે. આમ વૈશ્‍યો પણ ઈશ્વરવાદી હોય તેવી વ્‍યવસ્‍થા કર.. (3)ત્રીજું પગલું માંગતાં જ બલિ ગભરાઈ ગયો અને કહ્યું કે તો પછી મારા અસૂરો ક્‍યાં જાય? આનો અર્થ એ છે કે હું મરી ગયો, મારૂં અસ્‍તિત્‍વ જ નહીં તો હું ક્‍યાં જાઉં?
ભગવાન વામને કહ્યું કે તમારા માટે દક્ષિણમાં સુતલમાં હું રહેવાની વ્‍યવસ્‍થા કરૂં છું. આમ ચાતુર્વણ્‍ય વ્‍યવસ્‍થા ઉભી કરી.
ભગવાન વામને સંદેશ આપ્‍યો કે કનક અને કાંતાના લીધે માણસો અસૂર થાય છે. સુંદરસ્ત્રી જોતાં ધર્મના બંધનો તોડી હાથ પકડવો એ માનવ સ્‍વભાવ છે. ભગવાને કનક અને કાંતામાં ભ્રમ રાખ્‍યો છે. સંપત્તિ ભોગવવાની નથી તે ભોગદાસી નથી પણ આપણી બા છે. એ બાના ખોળામાં માથું મુકી સૂઈ જાવ તે બાનું પૂજન કરો. આ પૂજન એટલે લક્ષ્મીપૂજન અને બીજો એક દિવસ રાખી દીધો સ્ત્રીજાતને બહેન સમજવી એનું સતત ભાન રહે તે માટેનો દિવસ એટલે ભાઈબીજ. લોકોએ કહ્યું કે બલિ બહુ સારો હતો તેનામાં ઘણી સારી વાતો હતી અને તેની સારી વાતો લેવી જ જોઈએ એટલે તેના નામે પણ એક દિવસ રાખ્‍યો તે બલિપ્રતિપ્રદા એટલે બેસતું વર્ષ.
ધનતેરસ એટલે લક્ષ્મી પૂજનનો દિવસ. ભારતીય સંસ્‍કૃતિએ લક્ષ્મીને તુચ્‍છ કે ત્‍યાજ્‍ય માનવાની ક્‍યારેય ભૂલ કરી નથી. લક્ષ્મીને માઁ સમજી તેમને પૂજ્‍ય માનેલ છે. લક્ષ્મી ચંચળ નથી પણ લક્ષ્મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્‍તિ છે જેનાથી માનવ દેવ પણ બની શકે છે અને દાનવ પણ બની શકે છે. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન સમજનારનું પતન થાય છે. વિકૃત રસ્‍તે વપરાય તે અલક્ષ્મી, સ્‍વાર્થના કામમાં વપરાય તે વિત્ત, પરોપકારના કાર્યોમાં વપરાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી.
કાળીચૌદશને નરક ચતુદર્શી પણ કહેવાય છે. આ આસૂરી શક્‍તિઓ પર દૈવીય શક્‍તિના વિજયનું પર્વ છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્‍ણજીએ નરકાસૂર નામના રાક્ષસનો વધ કરીને ઋષિસંતોને તેના ત્રાસમાંથી મુક્‍ત કરાવ્‍યા હતા. નરકાસૂરનો અત્‍યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્‍યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો હતો. ભગવાન શ્રીકૃષ્‍ણએ નરકાસૂરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્‍યાઓને મુક્‍ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્‍યાઓએ કહ્યું કે હવે સમાજમાં અમારો કોઈ સ્‍વીકાર નહીં કરે. ત્‍યારે ભગવાન શ્રીકૃષ્‍ણએ તે સોળ હજાર કન્‍યાઓના રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યાહતા. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્‍સવ મનાવ્‍યો હતો. ત્‍યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. પરપીડન માટે વ5રાય તે અશક્‍તિ, સ્‍વાર્થ માટે વપરાય તે શક્‍તિ, રક્ષણાર્થે વપરાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વપરાય તે મહાકાલી કહેવાય છે.
આપણી દિવાળી કેવી? બધુ બંધ અને રજા. ઘરની સાફ-સફાઈ.સ્ત્રીઓ ફરસાણ-મીઠાઈ બનાવે તે ખાવાની અને ફટાકડા ફોડવાના! આ સિવાય બીજો દ્રષ્ટિકોણ સમજતા જ નથી! આ પાંચ દિવસ દિપોત્‍સવના દ્રષ્ટિકોણને સમજીએ. લક્ષ્મીસંપત્તિને બા સમજીએ. જીવનમાં નરક સર્જનારા આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા વગેરે અનિષ્ટોને જીવનમાંથી દૂર કરીએ. કોઈ શત્રુ હોવા છતાં તેનામાં સારા ગુણો હોય તો તે ગ્રહણ કરીએ અનેસ્ત્રી જાતને બહેન-માતા સમજીને આખા જગતને નૈતિક અને સાત્‍વિક બનાવી જગતનું સાંસ્‍કૃતિક અને નૈતિક પુનરૂત્‍થાન કરવાનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ રાખીએ..

આલેખનઃ વિનોદભાઈ માછી નિરંકારી, 9726166075(મો)

Related posts

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિથી પુરની ભીતી : જિલ્લામાં યલો એલર્ટ : તમામ નદીઓ બે કાંઠે

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

Leave a Comment