(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: 12મી સપ્ટેમ્બરે સયાજી લાઈબ્રેરી ખાતે પર્યાવરણ પ્રહરીઃ નંદનવન નવસારી પ્રોજેક્ટ લોન્ચ થયો. Say No To Plastic પ્રોજેક્ટ અંતર્ગત, રિસાઈકલ થાય એવા પ્લાસ્ટિક કલેક્શન માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એપ્રોજેક્ટ અંતર્ગત તારીખ 1 ઓક્ટોબર મંગળવારે નવસારીની શાળાઓના સહકારથી ટેમ્પો ભરીને રિસાઈકલ માટે પ્લાસ્ટિક કલેક્ટ કરવામાં આવ્યું હતું. દરેક શાળાએ વિદ્યાર્થી અને શિક્ષકોની મદદથી 200 કિલો જેટલું પ્લાસ્ટિક ભેગું કરીને રિસાઈકલ માટે મોકલ્યું હતું. નવસારી શહેર માટે આ ખૂબ મોટી પ્રેરણાદાયી ઘટના છે. બાળકોના બાલ માનસ પર અત્યારથી જ પર્યાવરણને આપણાથી નુકસાન ન થાય એ માટેના વિચારો સંસ્કારિત થાય, આ હેતુ ખૂબ સારી રીતે પુરવાર થયો છે. આ પ્રોજેક્ટમાં બધી શાળાઓ આ જ રીતે સહકાર આપતી રહેશે તો સ્વચ્છ નવસારી બનાવવા માટેના પ્રયત્નોમાં આપના બાળકો ખૂબ મોટું યોગદાન શાળા થકી આપશે એમાં કોઈ શંકા નથી. વિદ્યાર્થીઓથી પ્રેરણા લઈને નવસારી શહેરના નાગરિકો તથા સામાજિક સંસ્થાઓ આ કાર્ય લાઈબ્રેરી સાથે મળીને કરવા ઈચ્છે તો એ દિશામાં પણ આપણે આગળ વધી શકીશું. આવતા સોમવારે પણ શાળાઓ પ્લાસ્ટિક કલેક્ટ કરશે. જેથી મંગળવારે ફરી પીકઅપ વેન આવીને આજની જેમ પ્લાસ્ટિક રિસાઈકલ માટે લઈ જશે.
દરેક શાળાના વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્ય તથા મદદરૂપ થનાર દરેક વ્યક્તિનો સયાજી લાઈબ્રેરી આભાર માને છે. ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા તરફનું આ પગલું, એટલે સાચા અર્થમાંપોતાના કર્મથી વિદ્યાર્થીઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી શકયા, એનાથી વિશેષ સંતોષ શું હોઈ શકે?