(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૧૮: વલસાડ જિલ્લામાં ગત સપ્તાહમાં માત્ર ચાર-પાંચ દિવસમાં 60 ઈંચ ઉપર વરસાદ ખાબકતા જનજીવન સહિત રોડ-રસ્તાઓમાં પુષ્કળ ખાનાખરાબી સર્જાઈ છે. તેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત કંગાલ બની ચૂકી છે. કંગાલ હાઈવે ઉપર એક એક ફૂટે મસમોટા પડી ગયેલા ખાડા જીવલેણ બની ચુક્યા છે તેથી હાઈવે ઓથોરીટી હાઈવે ઉપર ખાડા મરામત કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે તેથી જનઆક્રોશ ભભુકી ઉઠયો છે.નિર્દોષ વાહન ચાલકો ખાડાઓને લીધે જીવ ખોઈ રહ્યા છે. વાહનો પલટી મારી રહ્યા છે તેમ છતાં ઓથોરીટી કુંભકર્ણ નિદ્રાધિન રહેતા પ્રજામાં વ્યાપક આક્રોશ ફાટી નિકળ્યો છે. તેનો પડઘો આજે જિલ્લા યુવા કોંગ્રેસે પાડયો હતો. પારનેરા પાસે હાઈવે જામ કરી કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા.
વલસાડ જિલ્લા પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે અને કાર્યકરોએ હાઈવે ઓથોરીટીના કાન પકડવા માટે પારનેરા નજીક હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. કાર્યકરો હાઈવે ઉપર બેસી જતા હાઈવેનો વાહનવહેવાર અટકી ગયો હતો. નેશનલ હાઈવેની કંગાલ હાલત બની ચૂકી છે. ચાર ચાર નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે. વાહનો પટકાઈ પલટી મારી રહ્યા છે છતાં હાઈવે ઓથોરીટી ખાડા પુરવા કે રોડ મરામતની જરા પણ તસ્કી નહી લેતા પ્રજાનો રોષ આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે.