જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવી
શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ સુશાસન થકી વિકાસ અને આત્મનિર્ભર ભારતની મારી કલ્પના સહિતના પ્લેકાર્ડ સાથે વિકાસનો સંદેશ જન જન સુધી પહોંચાડ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા તા.07 ઓક્ટોબર, 2001ના દિને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે શાસન ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. 23 વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.07 થી તા.15 ઓકટોબર-2024 સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તા.11 ઓકટોબરને શુક્રવારે સવારે 9 કલાકે વિકાસ પદયાત્રા-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને રાષ્ટ્રીય શાસન હેઠળ વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈની 23 વર્ષની ઐતિહાસિક સફરની ગાથાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી વિકાસ પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રા હાલર ચાર રસ્તા, આઝાદ ચોક થઈને સ્ટેડિયમ રોડ પરથી પસાર થઈ મોંઘાભાઈ હોલ ખાતે પહોંચી હતી. જેમાં સરકારી ખાતાના અધિકારીઓ-કર્મીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ગણેશ મંડળો, ઈસ્કોન સંપ્રદાયના ભક્તો સહિતના લોકો જોડાયા હતા. ઘોડેસવાર પોલીસ અને પોલીસ બેન્ડની સૂરાવલીએ સમગ્ર શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.
વિકાસ પદયાત્રામાં દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ ડોકટર, વકીલ, એન્જિનિયર, પોલીસ, ન્યાયધીશ, સાયન્ટીસ્ટ સહિતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર એક ભારત, શ્રેષ્ઠ ભારત, મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ભારતની મારી કલ્પના, વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, સુશાસન થકી વિકાસ,શાંતિ, સેવા અને સમૃધ્ધિસભર ગુજરાત અને વિકાસનું ધ્યેય રાષ્ટ્ર પ્રથમ સહિતના પ્લેકાર્ડ સાથે જન જન સુધી વિકાસનો સંદેશ ગુંજતો કર્યો હતો. વિકાસ પદયાત્રા સમગ્ર રૂટ પર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.