દાનહની મોટાભાગની ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં હોવાથી લેબર સહિતના કોન્ટ્રાક્ટરો પરપ્રાંતીયઃ જેમની પાસે સ્થાનિક આદિવાસી સમાજના લોકો રોજગારી માટે જાય છે ત્યારે ‘‘લોકલ લોગો કે લિયે ભરતી નહિ હૈ” કહી ધુત્કારે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્થાનિક આદિવાસી લોકોને ફેક્ટરીઓમાં નોકરી માટે પ્રાથમિકતા આપવા અને કાયમી રોજગાર મળી રહે તે બાબતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંકસિંહ કિશોરને લેખિત રજૂઆતકરવામાં આવી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી આદિવાસી બહુલ વિસ્તાર છે. અહીં યોગ્ય ધંધો, નોકરી કે રોજગારીના અભાવના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મોટાભાગના આદિવાસી સમાજના લોકોમાં શિક્ષણનું સ્તર નીચું છે, સાથે આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગરીબીનું પ્રમાણમાં વધુ હોવાથી તેઓ જીવન ગુજારો કરવા ભારે સંઘર્ષનો સામનો કરવા પડી રહ્યો છે.
જોકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ કૃપાદૃષ્ટિથી તેમજ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કુનેહભરી દીર્ઘદૃષ્ટિના કારણે હવે શિક્ષણ માટેના તમામ ક્ષેત્રોનો આરંભ સંઘપ્રદેશમાં કરી દેવાયો છે. જેનો લોકો હવે લાભ લેતા થયા છે.
દાદરા નગર હવેલીના ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા સ્થાનિક આદિવાસી સમાજને પ્રદેશની ફેક્ટરીઓમાં નોકરી-ધંધાર્થે પ્રાથમિકતા આપવા અને ઘરઆંગણે રોજગાર મળી રહે તે માટે કલેક્ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છ કે, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક રાજકીય આગેવાનોએ આદિવાસી સમાજના જ લોકોની જમીન ખરીદીને ઘણી બધી કંપનીઓની સ્થાપના કરી છે. દાનહની મુક્તિને 7 દાયકા વીતી ગયા હોવા છતાં હજુ પણ સરકારી સેક્ટર હોય કે ખાનગી કંપનીઓમાં સ્થાનિક આદિવાસી સમાજને રોજગાર મળી રહ્યો નથી, ક્યાં મળે છે તો તેમનું શોષણ કરવામાંઆવે છે. બીજું કે મોટાભાગની ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં હોવાથી અહીં લેબર સહિતના કોન્ટ્રાક્ટરો મોટાભાગના પરપ્રાંતીય છે. એમની પાસે જ્યારે સ્થાનિક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવવા માટે જાય છે ત્યારે ‘‘લોકલ લોગો કે લિયે ભરતી નહિ હૈ” એવું સંભળાવવામાં છે અને રોજગારી આપવા ધુત્કારે છે. આવા સંજોગોમાં અમારો આદિવાસી સમાજ રોજગારી માટે ક્યાં જશે? શું કરશે? એ ચિંતાનો વિષય છે.
કલેક્ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દાનહ આદિવાસી સમાજ પૈકી વારલી સમાજ સંગઠન છેલ્લા કેટલાક વર્ષથી પ્રદેશના દરેક ગામોમાં જઈ સમાજમાં ચાલતા કુરિવાજો જેમ કે, વ્યસન, આત્મહત્યા, બાળલગ્ન વગેરે સામાજીક દૂષણો દૂર કરવા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તથા સમાજમાં જાગૃતિ લાવવા સાથે મળીને અભિયાન ચલાવી રહ્યા છે. તે દરમ્યાન દાનહની ફેક્ટરીઓમાં રોજગારીનો મુદ્દો દરેક ગામના સ્થાનિક આદિવાસી સમાજના લોકોના મુખેથી અમારા વારલી સંગઠનને જણાવવામાં આવ્યો છે. જેથી અમારા સંગઠનના માધ્યમથી જિલ્લા કલેક્ટરશ્રીને નિવેદન છે કે સ્થાનિય આદિવાસી સમાજને પ્રદેશની દરેક કંપનીઓમાં યોગ્ય વળતર સાથે રોજગારી આપવામાં આવે.