April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

ચીખલી તાલુકામાં દીપડા દેખાવાના બનાવોમાં ઉતરોતર વધારો: રાનકુવામાંથી દીપડો પાંજરે પુરાયો તો ઘેજમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી જ્‍યારે ખુડવેલમાં જાહેરમાં લટાર મારતો દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: તાલુકામાં ચોમાસાની વિદાય સાથે શેરડીની કાપણી શરૂ થતાની સાથે જ ગામેગામ દીપડાઓની અવરજવર વધી જવા પામી છે અને હાલે ખેતીવાડીમાં પણ કામગીરી વધવા સાથે લગ્નની, રાત્રી ક્રિકેટ મેચની પણ સિઝન હોય દીપડાઓની જાહેરમાં અવરજવરથી લોકોની મુશ્‍કેલી વધી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ વન વિભાગનીચીખલી રેન્‍જ દ્વારા રાનકુવા ગામના મસ્‍જિદ ફળીયા વિસ્‍તારમાં થોડા દિવસ પૂર્વે શિરીષ અંબેલાલ દેસાઇની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં આજે વહેલી સવારના સમયે આશરે 5-વર્ષનો દીપડો પુરાતા દીપડાને જોવા સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાનો કબ્‍જો લઈ વેટરનીટી તબીબ પાસે તપાસ કરાવાતા સ્‍વસ્‍થ હોવાનું જણાતા દીપડાને સુરક્ષિત રીતે સ્‍થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્‍યાન ઘેજ ગામના ભરડાના ભગત ફળીયામાં દિલીપભાઈ મગનભાઈ પટેલના ઘરના કોઢારામાં રાત્રીના બારેક વાગ્‍યાના અરસામાં દીપડો ધસી આવતા પશુઓની હિલચાલ વધી જતાં પરિવારજનોએ જાગીને કોઢારામાં જોતા એક સાત મહિનાની વાછરડી ગાયબ હતી. રાત્રે આજુબાજુમાં શોધખોળ કરતા ભાળ મળી ન હતી. પરંતુ આજે સવારે તેમના ઘરથી થોડે દુર રવજી છોટુભાઈની વાડીમાંથી વાછરડીના કેટલાક અંગો મળી આવ્‍યા હતા. આમ દીપડાએ વાછરડી ફાડી ખાધી હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્‍યો છે. આ અંગેની જાણ ગામના સરપંચ રાકેશભાઈ દ્વારા કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકાના ખૂડવેલ ગામના ખલીફા ફળીયા વિસ્‍તારમાં ગતરાત્રે દિપડો જાહેરમાં લટાર મારતો જોવા મળતા સ્‍થાનિકોની મુશ્‍કેલી વધવા પામી છે. આ રીતે જાહેરમાં લટાર મારતા દીપડાનો વિડીયો પણ સ્‍થાનિકો દ્વારા ઉતારવામાં આવ્‍યો હતો. શેરડીના ખેતરો, આંબા-ચીકુની વાડીઓ અને પાણી ઉપલબ્‍ધ હોય તેવા નદી કોતરના વિસ્‍તાર નજીક દીપડાઓ મોટેભાગે વસવાટ કરતા હોય છે અને ખોરાક ન મળે તો દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર સુધી ચાલતા હોય છે. જોકે બચ્‍ચા સાથેની દીપડી હોય તો તે એક કિલોમીટરથી વધુ ન ચાલતી હોવાનું જાણવા મળ્‍યું હતું. તેવામાં દીપડાઓ એક ગામથી બીજા ગામ એક વિસ્‍તારમાંથી બીજા વિસ્‍તારમાં વિચરણ કરતા રહેતા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે લોકો સાવચેતી દાખવે તે જરૂરી છે.

ચીખલી તાલુકાના પ ગામોમાં પાંજરા મુકાયા
ચીખલી તાલુકામાં રાનકુવા ઉપરાંત ઘેજ, ખુડવેલમાં દીપડાની જાહેરમાં અવર જવર સાથે વન વિભાગ દ્વારા હાલે ખરોલી, બોડવાંક, મજીગામ, ગોડથલ, તોરણવેરા સહિતના ગામોમાં પણ ફરિયાદ મળતા પાંજરા ગોઠવવામાં આવ્‍યાં હતા.

Related posts

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

ચીખલીના ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

Leave a Comment