ભાજપમાં પદ-હોદ્દા કે ચૂંટણીની ટિકિટ માટે કોઈની પણ ભલામણ ચાલશે નહીં, મારી હાજરીમાં કોઈ ગોડફાધરના સહારે તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશોનહીં, જો આગળ વધવું હશે અને સંગઠનમાં રહેવું હશે તો તમારે સખત મહેનત કરવી પડશેઃ પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલની સીધી વાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં આજે પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસમાં ‘સંગઠન પર્વ કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રીમતી ડૉ. અલકા ગુર્જર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી સીતારામ ભાઈ ગવળી, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ (દાદા), દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સભ્યપદ અભિયાનના સંયોજક અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરીયા અને સક્રિય સભ્યતા અભિયાન સંયોજક શ્રી નવીનભાઈ પટેલ, રાજ્ય ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશસિંહ ચોહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ માઢા, શ્રી સુનિલ પાટીલ, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી જાગૃતિબેન પટેલ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામજીભાઈ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, દીવન.પા. પ્રમુખ શ્રીમતી હેમલતાબેન, જિલ્લા ભાજપના પ્રમુખો, ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે તમામે એક મિનિટનું મૌન પાળીને આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યશાળાની શરૂઆતમાં આજે દેશના ‘બંધારણ દિવસ’ નિમિત્તે શ્રી વિજય પગારેએ ઉપસ્થિતોને ‘સંકલ્પ પ્રસ્તાવના’ દ્વારા શપથ લેવડાવ્યા હતા અને બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ ભાજપના સભ્યપદ અભિયાન અને સક્રિય સભ્યપદ અભિયાનના સંયોજકો શ્રી મહેશભાઈ આગરિયા અને શ્રી નવીનભાઈ પટેલે પોતાના અહેવાલો રજૂ કર્યા હતા. આ અવસરે ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશસિંહ ચૌહાણે બૂથ સમિતિઓની રચના અને ચાલી રહેલી સંસ્થાકીય ચૂંટણી અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો.
આ અવસરે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલે પોતાના સંબોધનમાં કાર્યકરોને બૂથ કમિટીઓ બનાવી પ્રાથમિક સભ્ય અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તમારા દેખાવના આધારે જ પાર્ટી વિચાર કરશે અને સંગઠનમાં પદ અનેચૂંટણીમાં ઉમેદવારી માટે ટિકિટ આપશે. શ્રી પટેલે વિશેષ ભાર આપતાં જણાવ્યું હતું કે, કોઈની ભલામણ ચાલશે નહીં, મારી ઉપસ્થિતિમાં કોઈ ગોડફાધરના સહારે તમે કંઇ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. તેથી જો આગળ વધવું છે અને સંગઠનમાં રહેવું હશે તો તમારે સખત મહેનત કરવી પડશે.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, બૂથ કમિટી અને સદસ્યતા અભિયાનને આગળ ધપાવવા માટે આપ સૌએ પ્રવાસ કરવો પડશે અને પાયાના સ્તરે સંપર્કનો પ્રચાર કરવો પડશે.
આજના કાર્યક્રમના વિશેષ અતિથિ રાષ્ટ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરે પોતાના સંબોધનમાં સંસ્થાની ચૂંટણી પ્રક્રિયાને વિસ્તારપૂર્વક સમજાવી હતી અને ક્યાંથી ક્યાં અને કયા કામો પૂર્ણ કરવાના છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં પ્રદેશના વિવિધ બૂથના કાર્યકરોને બૂથ સમિતિઓની રચના કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડૉ. અલકા ગુર્જરએ સેલવાસ શહેરમાં એક બૂથની મુલાકાત લીધી હતી અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા.