કેમ્પમાં ૩૭૦ લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા, સાથે એનસીડી, ટીબી અને સિકલસેલનું સ્ક્રિનિંગ પણ કરાયુ
જિલ્લામાં ૧૧ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, સમય પર રિન્યુ કરાવી લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો
૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે, તેઓએ રિન્યુ કરાવવાના રહેતા નથીઃ મંત્રી મુકેશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૧: આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ મળશે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી વિજયદેવજી સ્પોર્ટ્સ સંકુલમાં પ્રધાનમંત્રી વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ નાગરિકોને સંબોધીને જણાવ્યું કે, છેવાડાના માનવીના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત રહે છે. આપ સૌ વડીલોના આશીર્વાદથી મોદીજી ત્રીજી ટર્મમાં આપ સૌની સેવા કરી રહ્યા છે. દરિદ્ર નારાયણની સેવા કરવી એ જ વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. આયુષ્યમાન કાર્ડ સહિત અનેક યોજના અમલમાં છે જેનો તમામે લાભ લેવો જોઈએ. પહેલાના સમયમાં સારવાર માટે ઘર, જમીન કે ઘરેણાં ગીરવે મુક્વા પડતા હતા પરંતુ હવે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીના કારણે એક પણ રૂપિયો સારવાર માટે ખર્ચ કરવો પડતો નથી. આરોગ્ય ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવી રહી છે તેનો લાભ પણ નિઃશૂલ્ક દર્દીઓને મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે એવુ જણાવી મંત્રીશ્રીએ ૩ વર્ષ પૂરા થયા બાદ કાર્ડ સમય પર રિન્યુ કરાવી લેવાની પણ સલાહ આપી હતી. ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે. સિનિયર સિટિઝને કાર્ડ રિન્યુ કરાવવાના રહેતા નથી. જેથી વહેલી તકે કાર્ડ કઢાવી લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં ૭૨ ટકા નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા છે. બાકી લોકોના પણ કાર્ડ કાઢી આપવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર તમારા ઘર આંગણે આવી છે ત્યારે કોઈ પણ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે જાગૃત રહેવુ જરૂરી છે. આ સિવાય મંત્રીશ્રીએ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નિઃશૂલ્ક અનાજ વિતરણ સહિત વિવિધ પ્રજાલક્ષી યોજનાનો ચિતાર આપ્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી વડીલોના આશીર્વાદ મેળવ્યા છે. જે લાભાર્થી કેમ્પમાં આવ્યા છે તે તમામને કાર્ડ મળશે. વડાપ્રધાનશ્રીએ ગરીબ તવંગર કે જાતિ ધર્મના ભેદભાવ વગર માનવતાભરી આ યોજના દાખલ કરી છે જેનો તમામ લોકો લાભ લે એ જરૂરી છે. જિલ્લા આરસીએચચો ડો.એ.કે.સિંઘે જણાવ્યું કે, તમારા ઘર કે આસપાસ, મહોલ્લામાં જે પણ ૭૦ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને આ યોજનાનો લાભ અપાવી પુણ્યનું કાર્ય કરજો. આ કાર્ડ કઢાવવા માટે આવકની મર્યાદા દૂર કરતા માત્ર આધાર કાર્ડ આપવાથી જ કાર્ડ બની શકશે.
આ કેમ્પમાં સ્ટેજ પરથી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ૩૦ વરિષ્ઠ નાગરિકોને વય વંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મંત્રીશ્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. કેમ્પમાં ૩૭૦ લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓનું એનસીડી, ટીબી અને સિકલસેલનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર ભરત પટેલ, પાલિકાના ચીફ ઓફિસર વિજય ઇટાલિયા અને જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, ધરમપુર તાલુકા સંગઠન મહામંત્રી ધનેશભાઈ ચૌધરી, શહેર સંગઠન પ્રમુખ પ્રણવ શિંદે સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. કે.પી.પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ભાવેશ કાકલોતર અને વંદના ચૌહાણે કર્યું હતું.