સિવિલ, ક્રિમીનલ અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
આ લોક અદાલતમાં સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલસા)નાં વર્ષ-2024નાં એકશન પ્લાન મુજબ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાઓનાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ આગામી તા.14/12/2024 નાં વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાંકોર્ટમાં પડતર સમાધાન લાયક ક્રિમીનલ કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ચેક રિટર્નનાં કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, અને ફક્ત દંડ ભરીને પુરાં થઇ શકે તેવાં ક્રિમીનલ કેસો તથા સમાધાન લાયક સીવીલ કેસો જેવા કે મોટર અકસ્માત વળતરનાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા તેમજ પ્રિ-લીટીગેશન કેસો જેવા કે બેન્ક-ફાયનાન્સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે કેસો સમાધાન માટે મુકવામાં આવશે. તેમજ ટ્રાફીક નિયમ ભંગનાં ઇ-ચલણની વસુલાત લોક અદાલતમાં લેવામાં આવશે કે જેમાં ઇ-ચલણની દંડની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી. જેથી આ નેશનલ લોક અદાલતનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને નેશનલ લોક અદાલતનાં દિવસે તા.14/12/2024 નાં રોજ સંબધિત અદાલત સમક્ષ હાજર રહે અને પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા માંગતા હોય તો તેઓએ સંબધિત કોર્ટનો અથવા તાલુકા કોર્ટમાં અધ્યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ અને જિલ્લા કોર્ટમાં સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વલાસાડનો સંપર્ક સાધવા અધ્યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાલસા ટોલ ફ્રી નં.15100 ઉપર પણ વધુ માહિતી મેળવી શકાશે.