ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચ એન્ડ ડીડીના પેવેલિયનની મુલાકાત પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્દ્ર શાસિત પ્રદેશની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.12
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવ (ડીએનએચ એન્ડ ડીડીનો કેન્દ્ર શાસિત પ્રદેશ)એ તા.11 અને 12 ડિસેમ્બર, 2024ના રોજ યશોભૂમિ, દ્વારકા, દિલ્હી ખાતે યોજાયેલા ‘ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ-2024’માં ભાગ લીધો હતો. જેમાં તેના દરિયાઇ વારસાને ઉજાગર કરવા અને માળખાગત વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિને ઉજાગર કરવા માટે સમર્પિત પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું હતું. છેલ્લાં દાયકા દરમિયાન આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જુસ્સાદાર નેતૃત્વ અને સમર્પિત કટિબદ્ધતાને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 360 ડિગ્રીનું પરિવર્તન થયું છે. તેમજ નવા ભારત અને સ્વચ્છ ભારતનાં વિઝનને સાકાર કરવા માટે તે પોતાની કર્તવ્ય યાત્રા ચાલુરાખે છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાગ પ્રયાસોને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશનું વહીવટીતંત્ર ડીએનએચ એન્ડ ડીડીને ભારતના પશ્ચિમ વિસ્તારમાં અગ્રણી પ્રવાસન સ્થળ અને ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે તથા કેન્દ્ર શાસિત પ્રદેશે છેલ્લાં 8 વર્ષમાં વૈશ્વિક કક્ષાનું માળખું વિકસાવ્યું છે, જેણે સંપૂર્ણ વિકાસને ઝડપથી વેગ આપ્યો છે.
આ અવસરે ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચ એન્ડ ડીડીના પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રશંસા કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ ડીએનએચ એન્ડ ડીડીના પ્રતિનિધિમંડળે દમણ અને દીવમાં ચાલી રહેલા જીર્ણોદ્ધારના કાર્યો પર ભાર મૂકતા પ્રદેશના જીવંત દરિયાઇ વારસા વિષે માહિતી પણ આપી હતી.