આ નગર આજના બાળકો અને યુવાનોને પ્રેરણા, પ્રોત્સાહન અને જ્ઞાન આપે છેઃ કલેકટર નૈમેષ દવે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે નિર્માણ કરાયેલા સ્વામિનારાયણ નગરની સ્કૂલના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે. બીજા દિવસે વલસાડની 3 અલગ અલગ સ્કૂલના 1975થી વધારે વિદ્યાર્થીઓએ સવારથી 9:00 થી બપોર 3:00 સુધી લાભ લીધો હતો. જેમાં બીએપીએસ વિદ્યામંદિર અબ્રામા, પાણીખડક હાઈસ્કુલ અને વાઘદાવડા સ્કૂલના વિદ્યાર્થીઓને સૌપ્રથમ નગરની અંદર નાસ્તો કરાવી ત્યારબાદ અલગ અલગ શોમાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સાથે નગરને મન ભરીને માણ્યું હતું. દરેક સ્કૂલ સ્ટાફ અનેવિદ્યાર્થીઓ જણાવ્યું કે, આ નગર ખૂબ જ સુંદર અને એના દરેક શો માણવા અને જાણવા જેવા છે એવો ખુશીના અનુભવો વ્યક્ત કર્યા હતા.
સાંજે વલસાડ જિલ્લાના કલેકટરશ્રી નૈમેષ દવેએ ઉદ્ધાટન બાદ બીજા દિવસે પરિવાર સાથે નગરની મુલાકાત લીધી હતી. તેમણે પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા પાસે વંદના કરી ચરણાવવિંદ પર પુષ્પો અર્પણ કર્યા હતા. આ સમયે બીએપીએસ વિદ્યામંદિરની મ્યુઝિકલ બેન્ડ અને પરેડે પણ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. બી.એ.પી.એસ બાળમંડળના બાળકો કલેકટરશ્રીને અલગ અલગ શો જોવા માટે દોરી ગયા હતા. ત્યાં એમણે વ્યસન મુક્તિ પર આધારિત ચલો તોડ દઈએ, સંત પરમ હિતકારી અને બાળ નગરની અંદર બાલિકાઓ દ્વારા રજુ થતો લાઈવ શો ‘‘સી ઓફ સુવર્ણા” નિહાળ્યો હતો. આ શો જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. પોતાની ભાવ ઉર્મિઓ વ્યક્ત કરતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, ખુબ જ સુંદર આયોજન છે. મેં ત્રણ શો જોયા. સુવર્ણા શો બાળકોને ખુબ પ્રેરણા આપે છે. એક મહિનાના ખુબ ટૂંકા ગાળામાં અદભૂત કોરિયોગ્રાફી અને ખુબ સુંદર પરફોર્મન્સ નાની નાની બાળકીઓએ કર્યું છે. આ શો આજના બાળકો અને યુવાનોને પ્રેરણા, પ્રોત્સાહન અને જ્ઞાન આપે છે. કોઈપણ વસ્તુને મેળવવી હશે તો મહેનત કરવી પડશે.જીવનમાં સફળતારૂપી મોતી મેળવવો હશે તો ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડશે.