કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન પણ દમણવાડા ગ્રામ પંચાયતનો જળવાયેલો સતત વિકાસ
કોરોના મહામારીમાં દમણવાડા ગ્રા.પં.ના શ્રમયોગી કામદારોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરને ચેપમુક્ત કરવા કરેલી કામગીરીની સરપંચશ્રીએ કરેલી સરાહના
દમણવાડા ગ્રામ પંચાયતના લોકોનો સામાજિક આર્થિક સાંસ્કૃતિક રાજકીય અને માળખાગત સુવિધા ક્ષેત્રે લાભ થાય એવા પ્રયાસો પંચાયત દ્વારા કરાયા હોવાનો સરપંચ મુકેશ ગોસાવીનો દાવો
2009-‘10થી 2020ના સમયગાળા દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયતને પ્રશાસન દ્વારા આપવામાં આવ્યું હતું 12 કરોડ કરતા વધુનું ભંડોળઃ તત્કાલિન સરપંચે આ નાણાનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં એક પણ કાચો રસ્તો નહીં અને એક પણ કાચું મકાન જોવા નહીં મળતે, ઘર ઘર બોરિંગ અને જરૂરિયાતમંદ લોકોને ત્યાં શૌચાલયની સુવિધા પણ ઉભી થઈ શકી હોત
દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીનો ઉપયોગ કરી દમણવાડા સહિત દમણ જિલ્લાના ઘણાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલી સફળતા પંચાયત માટે ગૌરવરૂપ ઘટના
સરપંચ મુકેશ ગોસાવીએ પ્રદેશમાં વિકાસ નહીં થયો હોવાની બૂમરાણ મચાવતા તત્ત્વોને અકબર બાદશાહ અને બિરબલની વાર્તા કહી જણાવ્યું હતું કે, જેમણે આંખ ઉપર કાળા ચશ્મા ચડાવી દીધેલા છે તેવાઓને આ વિકાસ દેખાતો નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16: ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન-2025-26′ ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત દમણવાડા ગ્રામપંચાયતમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂા.1 કરોડ 73 લાખના પ્રસ્તાવિત બજેટને મંજૂર કરાયું હતું.
આ પ્રસંગે આયોજીત ગ્રામસભામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના 4 વર્ષના કાર્યકાળના લેખાં-જોખાં પણ પ્રસ્તુત કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીના સમયગાળા દરમિયાન પંચાયતનો અખત્યાર સંભાળ્યો હતો. કોરોના મહામારીમાં બે વર્ષ બગડવા છતાં દમણવાડા ગ્રામ પંચાયતમાં સતત વિકાસ થતો રહ્યો હતો. તેમણે કોરોના મહામારીમાં દમણવાડા ગ્રામ પંચાયતના શ્રમયોગી કામદારોએ કરેલી સેવાને બિરદાવતાં જણાવ્યું હતું કે, દમણવાડા સહિત આજુબાજુની પંચાયતોમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરે જઈ તેમના ઘરને ચેપમુક્ત કરવાનું કામ આપણી પંચાયતના શ્રમયોગી ભાઈઓએ કર્યું હતું. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા ગ્રામ પંચાયતમાં થયેલા અનેક રોડ અને લાઈટના કામો પણ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત ખાતે કેટલાક આંતરિક રસ્તાઓના કામ બાકી રહ્યા છે જે પણ આવતા દિવસોમાં પૂર્ણ થશે એવું આયોજન પંચાયત દ્વારા કરાયું છે. કેટલાક રોડોના ટેક્નિકલ સેક્શન પણ મળી ગયા હોવાની જાણકારી આપી હતી.
સરપંચ શ્રીમુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતના લોકોનો સામાજિક આર્થિક સાંસ્કૃતિક રાજકીય અને માળખાગત સુવિધા ક્ષેત્રે લાભ થાય એવા પ્રયાસો પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે. સંઘપ્રદેશમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની સ્થાપનાનો પ્રારંભ પણ દમણવાડા ગ્રામ પંચાયતથી જ થયો હોવાનું જણાવી મહિલા સશક્તિકરણના ક્ષેત્રે થયેલી પ્રગતિની આંકડાવાર માહિતી આપી જણાવ્યું હતું કે, આજે 15 જેટલી સિલવન દીદીની લારીઓ રામસેતૂ બીચ રોડ ઉપર લગાવવામાં આવી છે અને તેઓ આત્મનિર્ભર પણ બની રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણ ક્ષેત્રે ભરેલી ઊંચી ઉડાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દેશના અંદર એકમાત્ર આપણો પ્રદેશ એવો છે કે જ્યાં સૌથી સસ્તુ શિક્ષણ ઉપલબ્ધ છે અને ઉચ્ચ શિક્ષણ માટે દરેક દરવાજા ખુલેલા છે. તેમણે હાલમાં મેડિકલ અભ્યાસક્રમ માટે પોસ્ટ ગ્રેજ્યુએટના શરૂ થયેલા કોર્સની પણ જાણકારી આપી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ યાદ અપાવ્યું હતું કે, 2009-‘10થી લઈ 2020 સુધી પંચાયતને લગભગ 12 કરોડ કરતા વધુનું ભંડોળ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યું હતું. તેસમયે જો આ ભંડોળનો યોગ્ય ઉપયોગ થયો હોત તો આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં એક પણ રસ્તો કાચો કે કોઈનું પણ ઘર કાચું નહીં રહ્યું હોત, અને આ પૈસાથી જરૂરિયાતમંદ લોકોના ઘરે બોરવેલ અને શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકી હોત.
શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી ફક્ત દમણવાડા ગ્રામ પંચાયતના જ નહીં પરંતુ દમણ જિલ્લાના ઘણાં વિદ્યાર્થીઓ નીટ, જેઈઈ, ગુજસેટ, ગુજકેટ, યુજીસી-નેટ જેવી પરીક્ષામાં સફળ પણ થઈ રહ્યા છે જે એક પંચાયત માટે ગૌરવની ઘટના હોવાનું જણાવ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રદેશમાં વિકાસ નહીં થયો હોવાની બૂમરાણ મચાવતા તત્ત્વોને એક બાદશાહ અને બિરબલની વાર્તા કહી જણાવ્યું હતું કે, જેમણે આંખ ઉપર કાળા ચશ્મા ચડાવી દીધેલા છે તેવાઓને આ વિકાસ દેખાતો નથી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાર્યકાળના બાકી રહેલા 8-10 મહિનામાં દમણવાડા ગ્રામ પંચાયત ઔર વધુ વિકાસના કામો કરશે. આ પ્રસંગે દમણવાડા વિભાગના જિ.પં. સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણવાડાના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષી સહિત ગ્રામજનોની મોટી હાજરી રહી હતી.
વિવિધ વિભાગોમાંથી આવેલા અધિકારીઓએ પોતાના વિભાગની યોજનાની માહિતી આપી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રા.પં.ના સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, બારિયા સમાજના અધ્યક્ષ શ્રી વિજયભાઈ બારી, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય શ્રીમતી અરૂણાબેન ઈશ્વરલાલ પરમાર, યોગ ગુરૂ શ્રી દિવ્યાંગ પરમાર, ભાઠૈયાના આગેવાન શ્રી ફકીરભાઈ પટેલ સહિત ગ્રામજનોની હાજરી રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત ગોહિલે કર્યું હતું અને જીપીડીપી-2025-‘26નો અહેવાલ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાનીએ રજૂ કર્યો હતો.