-
આપણે તો વિજેતા બની સરકારમાં બેસવાનું છેઃ મોદી સરકાર દાનહના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
દાનહની જે કંઈ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે આવડત હોય તો સ્થાનિક સ્તરે જ તેનું સમાધાન પણ શક્યઃ ઉમેદવાર મહેશ ગાવિત
ભાજપે કૌંચા જેવા છેવાડેના આદિવાસી વિસ્તારમાંથી શિક્ષિત, અનુભવી અને લોકોનું દુઃખ-દર્દ સમજી શકે એવા મહેશ ગાવિતની કરેલી પસંદગીઃ દીપેશ ટંડેલ પ્રદેશ ભાજપ પ્રમુખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર અગામી 30મી ઓક્ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે આજે ભાજપ, શિવસેના અને કોંગ્રેસે પોતાના દળ-બળ સાથે ઉમેદવારી નોંધાવી હતી.
આજે સેલવાસ ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય અટલ ભવનમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને દાનહ પેટા ચૂંટણીના પ્રભારી શ્રી અશ્વિની વૈષ્ણવ તથા સહ પ્રભારી ગુજરાતના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તથા સહ પ્રભારી શ્રી પિયુષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતનું ઉપસ્થિત જનમેદનીએ ઉષ્માભર્યું અભિવાદનકર્યું હતું.
ઉમેદવારી પત્રક ભરવા જવા પહેલાં જનમેદનીને સંબોધતા કેન્દ્રના રેલવે મંત્રી અને દાનહ પેટા ચૂંટણીના ભાજપ પ્રભારી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે ભાજપના ઉમેદવાર તરીકે શ્રી મહેશભાઈને વિજેતા બનાવી ગામની પંચાયતથી રાષ્ટ્રની પંચાયતમાં લઈ જવાના છે અને મહેશભાઈની સાથે દિલ્હીમાં મંત્રી તરીકે હું અને દમણ-દીવના સાંસદ મળી અમે પ્રદેશની જનતાની તમામ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરીશું.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રોજગારની સમસ્યાથી માંડી જે કંઈ પણ નાના-મોટા પ્રશ્ન હશે તેનું નિરાકરણ શક્ય બનશે. કારણ કે, કેન્દ્રમાં આપણી મોદી સરકાર કાર્યરત છે. તેમણે ભાજપના દરેક કાર્યકરોને બુથ પર જઈ પ્રત્યેક મતદારોને મળી વિકાસની વાતો જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેમણે આ ચૂંટણી પ્રચંડ બહુમતિથી વિજયી બનવા પણ આશાવાદ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે પોતાના જોરદાર ભાષણમાં જણાવ્યું હતું કે, પ્રદેશના લોકોની સેવા કરવા માટે 2014માં દર મહિને રૂા.60 હજારના પગારવાળી પી.એસ.આઈ.ની સરકારી નોકરી છોડી છે. આઈ.આર.બી.માં પી.એસ.આઈ. તરીકે દેશના અનેક વિસ્તારોમાં સેવા કરવાની મળેલી તકના આધારેલોકોની સમસ્યા શું છે તે સમજી તેના નિરાકરણ માટે પણ આવડત ધરાવતા હોવાનો દાવો કર્યો હતો.
ભાજપના ઉમેદવાર શ્રી મહેશ ગાવિતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કામ કરવાની શૈલી અને સમર્પણની ભાવનાથી પ્રભાવિત બની આ ચૂંટણી અને જાહેર જીવનમાં ઝંપલાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં જે કંઈ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે જો આવડત હોય તો તેનું સમાધાન તાત્કાલિક થઈ શકે એમ છે. તેમણે પ્રદેશને સમસ્યામુક્ત અને વધુ વિકસિત બનાવવાનો કોલ પણ આપ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, ભાજપે પ્રદેશના છેવાડેના ગામ કૌંચાથી શિક્ષિત અનુભવી અને તરવરિયા યુવાનની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. તેઓ પ્રશ્નની રજૂઆત ક્યાં અને કેવી રીતે કરવી તેની પણ સમજણ ધરાવતા હોવાથી પ્રદેશની તથાકથિત તમામ સમસ્યાઓનું નિરાકરણ સ્થાનિક સ્તરે જ લાવવા પણ આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશના ભાજપ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી સીતારામભાઈ ગવળી, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા),દાદરા નગર હવેલી ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને સભ્યો, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ અને સભ્યો તથા મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.