-
હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા નગર હવેલીમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને માંડ એક વર્ષમાં બદલેલી બીજી પાર્ટીથી જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્યો અને કાઉન્સિલરોની સ્થિતિ કફોડી બનવા પામી છે.
ગયા વર્ષે 2020ના નવેમ્બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં તત્કાલિન સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરે જનતાદળ(યુ)નું શરણું લઈ તેમના પ્રતિક ઉપર ચૂંટણી લડયા હતા. મોહનભાઈ ડેલકરના આકસ્મિક નિધન બાદ ડેલકર પરિવારે જનતાદળ(યુ)ને વિશ્વાસમાં લીધા વગર હવે શિવસેનાની બાંધેલી કંઠીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ શંકા-કુશંકા પેદા થઈ રહી છે. કારણ કે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોના સ્વાભિમાન ઉપર પણ ઠેસ પહોંચી રહી છે. હવે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? એ સમય અને સંજોગ બતાવશે એવું આકલન પણ વ્યક્ત થઈ રહ્યું છે.