-
1994 બેચના ઓરિસ્સા કેડરના પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવરહેલા અશ્વિની વૈષ્ણવની નિયુક્તિથી દાનહના ગુંચવાયેલા અનેક વહીવટી પ્રશ્નોનું સમાધાન મળવાની વધેલી સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
ભાજપ હાઈકમાન્ડે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની નિયુક્તિ કરી ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશને આપવામાં આવી રહેલા મહત્ત્વના દર્શન કરાવ્યા છે. શ્રી અશ્વિની વૈષ્ણવની ચૂંટણી પ્રભારી તરીકે કરાયેલી નિયુક્તિ પાછળના પણ અનેક સંકેતો હોવાનું દેખાય છે.
શ્રી અશ્વિની વૈષ્ણવ 1994 બેચના ઓરિસ્સા કેડરના આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ પોતાના આઈ.એ.એસ. તરીકેના કાર્યકાળ દરમિયાન જિલ્લા કલેક્ટર તરીકેનો પણ અનુભવ લઈ ચુક્યા છે. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અમલદારશાહી હાવી હોવી સ્વાભાવિક છે. તેથી દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રભારી તરીકે પણ પૂર્વ બ્યુરોક્રેટ એવા શ્રી અશ્વિની વૈષ્ણવને જવાબદારી આપી ભાજપ હાઈકમાન્ડ અહીંની અનેક ગુંચવાયેલી સમસ્યાના ઉકેલ માટે આગ્રહી હોવાનું પણ દેખાય છે. આમ ભાજપ હાઈકમાન્ડે દાદરા નગર હવેલી પ્રત્યે રાખવામાં આવી રહેલી પોતાની જવાબદારી અને પ્રેમનાપણ દર્શન કરાવ્યા છે.