-
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29
આજે કેન્દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં આવેલ નંદઘરની મુલાકાત લીધી હતી. જ્યાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું.
નંદઘરને નિહાળી રેલવે મંત્રી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે ઉપસ્થિત બાળકો સાથે પણ પ્રેમ અને વાત્સલ્યથી વાતચીત કરી હતી. પ્રદેશના સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી પૂજા જૈને પણ મંત્રીશ્રીને વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે સમાજ કલ્યાણ વિભાગના નિર્દેશક શ્રી જતિન ગોયલે જરૂરી વ્યવસ્થા કરી હતી.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે પ્રદેશના જિલ્લા કલેક્ટર અને નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પરપ્રાંતિય કામદારો માટે બનાવવામાં આવેલ ‘સ્પર્શ’ કોલોનીની પણ મુલાકાત લીધી હતી.