-
મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂ માર્ગદર્શન
-
કારકિર્દીના માર્ગદર્શન માટેની ઉમદા તકનો લાભ લેવા દમણવાડા ગ્રામ પંચાયતે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાહેર જીવન તથા શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા તમામને કરેલી આગ્રહભરી વિનંતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
ખાસ કરીને દમણ જિલ્લાના મોટા ભાગના વિદ્યાર્થીઓ વિવિધ પરિક્ષામાં સફળ થયા બાદ તેમણે કઈ લાઈન પસંદ કરવી તે બાબતે દ્વિધા રહેતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એકબીજાને જોઈને પોતાને પસંદ નહી હોય તેવી લાઈન પસંદ કરી છેવટે પોતાની કારકિર્દી પણ જોખમમાં મુકતા હોય છે.
એસ.એસ.સી., એચ.એસ.સી. પાસ થઈ ગયા પછી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, સી.એ., એમ.બી.એ., એલ.એલ.બી. શું કરવું? ગણતરી પ્રમાણેના માર્ક્સ કે ટકા નહિ આવ્યા કે પછી પસંદગીના કોર્સમાં પ્રવેશ નહિ મળ્યો, તો તેના પછી કયો વિકલ્પ પસંદ કરવો વગેરે બાબતોની જાણકારી મળી રહે તે હેતુથી દમણવાડા ગ્રામપંચાયત દ્વારા મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન, દાદર-મુંબઈના સહયોગથી રવિવાર તા.14મી નવેમ્બર, ર0ર1ના રોજ સવારે 9:30 કલાકે મોટી દમણ કલેક્ટર કાર્યાલયની પાછળ આવેલ આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈ.એ.એસ. એકેડમી, દાદરના સંચાલક શ્રી વ્રજ પટેલ રસાળ શૈલીમાં માર્ગદર્શન આપશે. જેમાં યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. કે અન્ય સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની પરિક્ષા આપીને જિલ્લા કલેક્ટર – આઈ.એ.એસ., જિલ્લા પોલીસ વડા – આઈ.પી.એસ., ભારત સરકારના વિદેશમાં રાજદૂત કે પાસપોર્ટ અધિકારી બનવા આઈ.એફ.એસ, ઈન્કમટેક્ષ, જી.એસ.ટી. સેલ્સટેક્ષ કમિશનર -આઈ.આર.એસ. અધિકારી બનીને ગૌરવન્તી ઝળહળતી કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું તે બાબતે રવિવારે મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના શ્રી વ્રજ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ ઉમદા તકનો લાભ લેવા દમણવાડા ગ્રામ પંચાયત તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાહેર જીવન તથા શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા તમામને આગ્રહભરી વિનંતી કરે છે.