(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.13
‘આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર દીવ કોર્ટ દ્વારા ગતરોજ દીવ જિલ્લામાં ચારેય પંચાયતોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કાનૂની સેવા સત્તામંડળ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના હોલમાં લોકોને કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે દરમિયાન અનેક વકિલોએ વિવિધ કાયદા અને તે અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઘરેલું હિંસા, ભરણ-પોષણ, સમાજમાં ચાલી રહેલા કુરિવાજો માટે મફત કાનૂની મદદ આપવા સહિતની જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને તેના નિરાકરણ માટેના યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા.
આ અવસરે સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી શંકર ભગવાન, મંત્રી હર્ષિદા મકવાણા, જિલ્લા પંચાયત સભ્યો, વકિલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.