-
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં યુપીએસસીની પરીક્ષા ક્રેક કરવા સતત સખત મહેનતનો આપેલો મંત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંચાલક અને કાઉન્સેલર શ્રી વ્રજ પટેલે પોતાની રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને અનેક દાખલા-દલીલો સાથે રોચક શૈલીમાં પોતાની કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી વ્રજ પટેલે પોતાના વક્તવ્ય દરમિયાન દક્ષિણ ભારતીય વાનગી ઈડલીનું દૃષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, ઈડલીના ખીરામાંથી ઢોસા, ઉત્તપ્પમ તથા અનેક જાતની ઈડલીઓ બની શકે છે. તો ગુજરાતીઓ આ ખીરામાંથી ઢોકળા પણ બનાવે છે. તેવી રીતે યુપીએસસીની તૈયારીની સાથે સાથે બીજી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ થઈ શકે છે. તેમણે પોતાના જીવનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેમનું આઈ.એ.એસ. બનવાનું સ્વપ્ન હતું અને તે માટેની તૈયારી પણ કરી હતી.પરંતુ માહિતી અને સંસાધનના અભાવના કારણે તેઓ આઈ.એ.એસ. નહીં થઈ શક્યા હતા. પરંતુ તેમણે કરેલી તૈયારીના કારણે સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમની પરીક્ષા તેઓ સરળતાથી પાસ કરી શક્યા હતા.
શ્રી વ્રજ પટેલે દેશની સૌથી પ્રતિષ્ઠાસભર ગણાતી અને પ્લેસમેન્ટમાં પણ સૌથી રળી આપતી આઈ.આઈ.એમ.ની પરીક્ષાઓનું પણ દૃષ્ટાંત આપ્યું હતું અને વિદ્યાર્થીઓને આજથી જ પોતાનું એક લક્ષ કેન્દ્રીત કરવા સલાહ આપી હતી.
શ્રી વ્રજ પટેલે વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમારી રૂચિ જે વિષયમાં હોય તે પસંદ કરો. યુપીએસસીના આઈ.એ.એસ., આઈ.પી.એસ. કે આઈ.આર.એસ. જેવી સિવિલ સર્વિસની પરીક્ષા અને આઈ.આઈ.એમ.ની કોમન એડમિશન ટેસ્ટ માટે પણ કોઈપણ શાખાના સ્નાતક હોવું જરૂરી છે. પરંતુ આ ટેસ્ટ પાસ કરવા માટે ધોરણ 10 અને 12માંથી જ સતત 10 થી 12 કલાક સખત અને સાચી દિશાની મહેનત કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.
મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંચાલક અને કારકિર્દી માર્ગદર્શક શ્રી વ્રજ પટેલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રદેશના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે બતાવેલી જાગૃતિની મુક્ત મને પ્રશંસા કરી હતી.