July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

  • દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલું ઉમદા માર્ગદર્શન

  • દમણ જિ.પં.ના પ્રમુખ બાબુભાઈ પટેલ, ઉપ પ્રમુખ મૈત્રી પટેલ, શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકા પટેલ તથા ફાલ્‍ગુનીબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની મુક્‍ત મને કરેલી પ્રશંસા

  • દમણમાં આઈ.એ.એસ., આઈ.પી.એસ. સાથે પ્રદેશના સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્‍લાસ શરૂ કરવા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી સમક્ષ રજૂ કરેલો પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા મોટી દમણ-દમણવાડાના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લાપંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્‍ચ શિક્ષણ અને કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગ છે. તેમણે જણાવ્‍યું હતું કે, હકીકતમાં હાઈસ્‍કૂલ અને ઈન્‍ટરમીડિયેટમાં અભ્‍યાસરત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને તેમના માતા-પિતા ઉચ્‍ચ શિક્ષણ તથા પોતાના કેરિયરની પસંદગીની બાબતમાં ચિંતિત રહેતા હોય છે. પરંતુ તેમને સાચું અને યોગ્‍ય માર્ગદર્શન નહીં મળવાના કારણે તેમના માટે કયું ક્ષેત્ર પસંદ કરવું તે બાબતે દ્વિધા રહે છે. તેથી દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસને આવકારતા સી.ઈ.ઓ. શ્રી આશિષ મોહને જણાવ્‍યું હતું કે, જે વિષયમાં રૂચિ હોય તે પસંદ કરવા તેમણે વિદ્યાર્થીઓને શિખામણ આપી હતી. શ્રી આશિષ મોહને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની ટીમને દમણ માટે આ પ્રકારનું નવતર આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્‍યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન શિબિરનો લાભ પોતાના જીવનમાં ઉતારવા તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓ માટે ભવિષ્‍યમાં કઈંક હાંસલ કરવા આ ઉંમર જ મહત્ત્વની છે. તેથી તેમણે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા સલાહ આપી હતી.
આકાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે જણાવ્‍યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું તેની ખબર જ હોતી નથી. વિદ્યાર્થીઓની આ ચિંતા દૂર કરવા માટે દમણવાડા પંચાયત દ્વારા આવકારદાયક કદમ ઉઠાવવામાં આવ્‍યું છે. દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે જણાવ્‍યું હતું કે, ધોરણ 10 અને 12 પછી ભવિષ્‍યની બાબતમાં વિચારવું અને માર્ગદર્શન લેવું તે સાચો સમય છે. આ સેમિનાર બાદ વિદ્યાર્થીઓને આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., આઈ.આર.એસ. જેવી અત્‍યંત કઠિન સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે આયોજન કરવામાં સહાય મળશે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણના વિદ્યાર્થીઓમાં ટેલેન્‍ટની કોઈ કમી નથી, પરંતુ આ પ્રતિભાને યોગ્‍ય દિશામાં વાળવા માટે આજે કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, સફળતા મેળવવા માટે સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્‍પ નથી અને મહેનતનું ફળ હંમેશા ભવિષ્‍યમાં મળતું જ હોય છે. તેથી અત્‍યારથી જ યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરવાનું વિદ્યાર્થીઓને જીવનમાં મોટું લક્ષ રાખી પાંચ વર્ષની યોજના બનાવી તેનેવળગી રહેવા તાકિદ કરી હતી, જેથી દમણમાંથી કોઈ આઈ.એ.એસ., આઈ.પી.એસ., બની જ નહીં શકે એવો જે ભ્રમ છે તે તુટી શકે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દમણમાં રહેતા અને ભણતા વિદ્યાર્થીઓ ખુબ જ ભાગ્‍યશાળી છે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્‍ટિ દમણ-દીવ અને દાદરા નગર હવેલી ઉપર હોવાના કારણે આ પ્રદેશ શિક્ષણના ક્ષેત્રે સ્‍વનિર્ભર બન્‍યો છે. આર્ટસ, સાયન્‍સ અને કોમર્સ કોલેજની સાથે એન્‍જિનિયરીંગ માટે ડીગ્રી કોલેજ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ તથા અનેક પેરામેડિકલ ક્ષેત્રના પણ અભ્‍યાસક્રમો શરૂ થયા છે. જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને આહ્‌વાન કર્યું હતું.
પ્રારંભમાં દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે સ્‍વાગત વક્‍તવ્‍ય આપ્‍યું હતું. કાર્યક્રમનું ઉત્‍કૃષ્‍ટ સંચાલન શ્રી પ્રિતેશ ભરૂચા દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેમણે આજની માર્ગદર્શન શિબિરના કાઉન્‍સેલર અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક શ્રી વ્રજ પટેલનો પરિચય પોતાની આગવી શૈલીમાં આપ્‍યો હતો.
આ પ્રસંગે દમણવાડાના આગેવાન શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ)બારી, શ્રી ગણેશભાઈ પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.
આભાર વિધિ દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ આટોપી હતી.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment