-
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના સેલ્ટી ખાતે આયોજીત કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર એ.કે.સિંઘ, નવનિર્વાચીત સાંસદ કલાબેન ડેલકરના હાથે તકતીનું કરાયેલું અનાવરણ
-
38 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સેલ્ટી એકલવ્ય મોડલ સ્કૂલમાં ધો. 6 થી 12 સુધીના 480 આદિવાસી બાળકોના અભ્યાસની સુવિધા રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દેશના સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવવા માટે ભારત સરકાર દ્વારા આયોજીત આઝાદીનો અમળત મહોત્સવ અભિયાન અને આદિવાસીઓના ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેલ્ટી ગામ સહિત દેશભરમાં 50 એકલવ્ય મોડલ આવાસીય શાળાનુંશિલાન્યાસ કરવામા આવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભોપાલમાં ઉપસ્થિત રહી સંચાર માધ્યમ દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલના દરેક શાળાના નિર્માણકાર્યનું શિલાન્યાસ કર્યું હતુ. જેમાં સેલ્ટી ગામે એકલવ્ય મોડલ શાળાના શિલાન્યાસ કાર્યક્રમનો પણ સમાવેશ થયો હતો.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમની સાથે સેલ્ટી ખાતે પણ શિલાન્યસ વિધિનું આયોજન કર્યુ હતું. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘ અને નવનિર્વાચીત સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના હસ્તે તકતીનું અનાવરણ કરવામા આવ્યું હતું.
દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે નિર્માણ પામનારી એકલવ્ય મોડલ સ્કૂલમાં ધોરણ 6 થી 12 સુધીના 480 આદિવાસી બાળકો અભ્યાસ કરશે. હિન્દુસ્તાન સ્ટીલ વર્કસ કન્ટ્રક્શન લીમીટેડ અરકોન પ્રોજેક્ટ દ્વારા આ શાળા અંદાજીત 38 કરોડના ખર્ચે બનશે, જેમાં શાળા સાથે હોસ્ટેલની પણ સુવિધા હશે. આ પ્રોજેક્ટ 2022ના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરાશે.
આ અવસરે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પ્રસાશકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, કલેકટર ડો.રાકેશ મિન્હાસ,શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણસહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.