Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

(ભાગ-5)

ગોવાના રાજ્‍યપાલ અને સંઘપ્રદેશના પ્રશાસક તરીકે ભાનુ પ્રકાશ સિંઘના આગમન બાદ દમણ-સેલવાસમાં શરાબ-કબાબ અને ડાન્‍સની જામવા માંડેલી મહેફિલ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સ્‍થપાતા ઉદ્યોગો માટે કેન્‍દ્ર સરકારે કરેલી ટેક્‍સ હોલીડેની જાહેરાત બાદ દેશના ખૂણે ખૂણેથી અહીં ઉદ્યોગો સ્‍થાપવા માટે હોડ જામવાની શરૂઆત થઈ હતી. તેમાં પણ દાદરા નગર હવેલીમાં વિશાળ પ્રમાણમાં જગ્‍યા ઉપલબ્‍ધ હોવાના કારણે અનેક મલ્‍ટી નેશનલ કંપનીઓ પણ આકર્ષાવા લાગી હતી. આ દરેક કંપનીઓને તેમના પ્રમાણમાં જગ્‍યાની જરૂરિયાત હતી. દાદરા નગર હવેલીમાં આદિવાસી ખેડૂતો પાસે અઢળક જમીન હતી. તેથી તેમને ભોળવી પટાવી ખુબ જ સસ્‍તા દરમાં જમીનો ખરીદવાના ગોરખધંધાનો આરંભ થયો હતો. સંઘપ્રદેશ પ્રશાસન અને તે સમયના રાજકારણીઓની જુગલબંધીમાં સરકાર દ્વારા જમીન વિહોણા ખેડૂતોને આપવામાં આવેલ પ્‍લોટનું પણ વેચાણ શરૂ કરાયું હતું.
દાદરા નગર હવેલીના મોટાભાગના આદિવાસીઓના ભોળપણ અનેઅજ્ઞાનનો લાભ લઈ કોથળા ભરી ભરીને રૂપિયા 10 અને પાંચની નોટો પધરાવી કરોડો રૂપિયાની જમીન આંચકી લેવામાં આવી હતી. બેંકના અધિકારીઓ સાથેની સાંઠગાંઠમાં લેન્‍ડમાફિયાઓ અને રાજકારણીઓએ અગાઉથી ખેડૂતોના સાઈન કરાવેલા ચેકથી પોતે જ રોકડા રૂપિયા પણ ઉપાડી લીધા હોવાની અનેક ઘટનાઓ બની હતી.
જે વખતે ટેક્‍સ હોલીડેની જાહેરાત થઈ તે સમયે દાદરા નગર હવેલીના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી થાય તે પ્રકારની કોઈ વ્‍યવસ્‍થા ગોઠવી હોત તો આજે દાદરા નગર હવેલીના આદિવાસીઓની સાચા અર્થમાં કાયાપલટ થતાં કોઈ રોકી નહીં શક્‍યું હોત.
બીજી બાજુ દમણ-દીવમાં ભાજપના સાંસદ ચૂંટાયા હોવાના કારણે તત્‍કાલિન ગ્રામીણ વિકાસ રાજ્‍ય મંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ નિયમિત રીતે દમણની મુલાકાતે આવી રહ્યા હતા અને પાણીના સ્‍ટેન્‍ડ પોસ્‍ટનું પણ તેમના દ્વારા ઉદ્‌ઘાટન કરાતું હતું. તે સમયના દમણ-દીવના કોંગ્રેસ પ્રમુખ ડો. શાંતિલાલ દેસાઈ સાતમા આસમાને ચાલતા હતા.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉપર શ્રી અસલમ ખાને પોતાનું વર્ચસ્‍વ પણ બનાવી દીધું હતું. દાભેલના સરપંચ શ્રી ડાહ્યાભાઈ પટેલ તે વખતે જિલ્લા પંચાયત કબ્‍જે કરવા પોતાની તમામ તાકાત લગાવી ચુક્‍યા હતા. તે પહેલાં પ્રદેશ કાઉન્‍સેલર પદે થયેલીમરવડના શ્રી જયેશભાઈ પટેલની વરણીને યેનકેન પ્રકારે રદ્‌ કરાવી પોતાની તરફેણમાં આદેશ લાવવા પણ શ્રી ડાહ્યાભાઈ પટેલ સફળ રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે પણ શ્રી ડાહ્યાભાઈ પટેલની પ્રતિષ્‍ઠા સતત વધી રહી હતી.
ગોવાના રાજ્‍યપાલ શ્રી ખુર્શીદ આલમની જગ્‍યાએ 18મી માર્ચ, 1991ના રોજ શ્રી ભાનુ પ્રકાશ સિંઘની વરણી થતાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીની રોનક જ બદલાવા લાગી હતી. પ્રશાસક તરીકે શ્રી ભાનુ પ્રકાશ સિંઘે દમણ અને સેલવાસમાં એક નવા પાર્ટી કલ્‍ચરને જન્‍મ આપ્‍યો હતો.
દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે શ્રી ભાનુ પ્રકાશ સિંઘના આગમન સમયે પ્રદેશમાં ઉત્‍સવનો માહોલ રહેતો હતો. તેઓ કેટલાક અધિકારીઓને જાહેરમાં તતડાવતા તો લેન્‍ડ અને લીકર માફિયાઓ સાથે સીધી વાતચીત કરતા હતા. રાત્રે શરાબ અને કબાબની ખુલ્લેઆમ મહેફિલ જામતી હતી. જેમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારો પણ સામેલ રહેતા હતા. આ સમયગાળા દરમિયાન દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઘણાં નહીં થવાના કામો પણ થઈ ચુક્‍યા હતા. (ક્રમશઃ)

Related posts

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ : માર્કેટ વેલ્‍યુના અંદાજ સામે પ્રશ્નાર્થ

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment