દમણ, તા.28:
મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત અને રદબાતલ થયેલ જૂની દીવાદાંડીની જગ્યા નવપલ્લવિત બની છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત ઓટ્મન મેળા (શરદ મેળા)એ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્થાનિક લોકોનું પણ મનમોહી લીધું છે.
24 મી થી શરૂ થયેલા ઓટ્મન(શરદ) મેળાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં હજ્જારો લોકોએ લાભ લીધો છે અને આજે રજાના રવિવારના દિવસે ખાસ કરીને દમણના સ્થાનિકો પોતાના પરિવાર સાથે ઉમટી પડયા હતાં. અહીં ઘણાએ ખરીદદારી કરી તો કેટલાકે ખાણીપીણીની પણ મજા માણી અને કેટલાકે પોતાના પોર્ટટ્રેઈટ પણ બનાવ્યો. અને લગભગ દરેકે સેલ્ફી પાડી અને મોબાઈલના કેમેરામાં સહપરિવાર સાથે જૂની દીવાદાંડીમાં આવેલ વસંતના નજારાને પણ કેદ કર્યો.
પોર્ટુગીઝ સલ્તનતના સમયથી આ મોટી દમણની જૂની દીવાદાંડી અડીખમ છે. ટેકનોલોજીના વિકાસ સાથે બાજુમાં નવી દીવાદાંડી ઉભી થતાં ઊંડા દરિયામાં મચ્છીમારી કરતા માછીમારો માટે બંદર હોવાનું એક માત્ર દિશાસૂચક રહેલી આ દીવાદાંડી આમ તો અપ્રસ્તુત બનીચૂકી હતી અને આજુબાજુની જગ્યા પણ વેરાન હતી અને ઠેરઠેર ઘાસચારો ઊગી નીકળતા અહીં આવતા લોકો ડરે એવી સ્થિતિ હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખ નજર એના પર પડતા આજે મોટી દમણ લાઈટ હાઉસની શકલ અને સૂરત બદલાઈ ચૂકી છે.