વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્વે ફાટક નંબર 101નું સમારકામ હોવાથી આવતીકાલે 29થી 5 ડિસેમ્બર સુધી ફાટક બંધ કરવામાં આવશે. જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે.
પશ્ચિમ રેલ્વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અનેક રેલ્વે સ્ટેશનો નજીક આવેલા રેલ્વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્વે ફાટક નંબર 101નું સમારકામ તારીખ 29-11-2021થી આગામી તારીખ 05-12-2021 સુધી 7.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રહેશે. તેથી કાંપરી રેલ્વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલીથી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે.
આમ કાંપરી રેલવે ફાટક 7 દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડઆવવાની ફરજ પડશે.