(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દીવ જિલ્લાપંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વૈભવ રિખારીની આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા કલેક્ટરાયલ ખાતે વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, શ્રી વૈભવ રિખારીની દીવથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી કરવામાં આવી છે. ઉપરોક્ત આદેશના અનુસંધાનમાં આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયની અધ્યક્ષતામાં કલેક્ટરાલયના સભાખંડમાં દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વૈભવ રિખારીનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો.
આ અવસરે કલેક્ટર શ્રીમતી સલોની રાયે પુષ્પ ગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યુ હતું તથા પ્રશાસન તરફથી તેમને સ્મૃતિ ભેટ આપી હતી. વિદાય સમારંભમાં, કલેક્ટર શ્રીમતી સલોની રાયે દીવના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વૈભવની સેવાઓને યાદ કરી તેમના લાંબા અને સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. કોવિડ-19, તૌક્તે ચક્રવાત સહિત અનેક અવસરોએ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમારે વૈભર રિખારીની કાર્યશૈલીના વખાણ કરી કામ પ્રત્યે તેમના જેવી નિષ્ઠાને યાદ કરી તેમની પાસેથી પ્રેરણા લેવાની વાત કહી હતી. આ અવસરે અન્ય અધિકારીઓએ પણપોત-પોતાના વિચાર વ્યક્ત કર્યા તેમના અનુભવો જણાવ્યા હતા.
શ્રી વૈભવ રિખારીના વિદાય પ્રસંગે તેમણે દીવમાં થયેલી સરકારી સેવાઓને યાદ કરી હતી. તેમણે દીવમાં સરકારી સેવા દરમિયાન કલેક્ટરશ્રી સલોની રાય, પોલીસ અધિક્ષક તરફથી મળેલા માર્ગદર્શન અને પ્રેરણા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી મળેલા સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો.
આ વિદાય સમારંભમાં દીવ નાયબ કલેક્ટર, એસડીપીઓ, દીવ જિલ્લાની કચેરીઓના વડાઓ કલેક્ટર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.