દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જન પ્રતિનિધિઓ અને જનતાના અધિકારો છિનવીને અત્યાચારો કરવામાં આવી રહ્યા હોવાની પણ લોકસભામાં કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.09
લોકસભાની દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા શિવસેનાના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આજે સંસદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પૂર્ણ સમયની વિધાનસભાની માંગણી કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી ખુબ જ કઠીન પરિસ્થિતિમાં પોતાની પહેલી ચૂંટણી જીતીને આવ્યા છે. તેમના પતિ શ્રી મોહનભાઈ ડેલકર સદનમાં સાત વખત સાંસદ બની પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવાની માહિતી આપી વિકટ પરિસ્થિતિમાં પસાર થઈ રહેલા પ્રદેશની લડાઈ લડતા લડતા સાંસદે આપવા પડેલા બલીદાનની પણ યાદ અપાવીહતી.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે, ‘‘ મારો પ્રદેશ આજે પણ ખુબ જ કઠીન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ હોવા છતાં અમારા પ્રદેશમાં જન પ્રતિનિધિઓ અને જનતાના અધિકારો છિનવીને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. આવી ગંભીર સમસ્યાઓ અને કઠીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને દેશની મુખ્ય ધારા અને લોકતાંત્રિક પ્રક્રિયા સાથે જોડવા પૂર્ણ એસેમ્બલી આપવામાં આવે કે જેથી જનતાને ફરીથી પોતાના હક-અધિકાર મળી શકે.”
શ્રીમતી કલાબેન ડેલકરે સંસદને યાદ અપાવ્યું હતું કે, 2014માં ગૃહ મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીએ બંને પ્રદેશ માટે એક વિધાનસભા બની શકે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મુદ્દાને વર્ષ 2019માં દાનહના તત્કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરે પણ ઉઠાવ્યો હતો. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક આ મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ભારત સરકાર અને રાષ્ટ્રપતિ મહોદયને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે સદનમાં વિનંતી કરી હતી.