ડૉ. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્યું હતું જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે ખુલેલા ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારોઃ સરપંચ મુકેશ ગોસાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતનાબંધારણના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે ફક્ત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકોનું જ નહીં પરંતુ મહિલા, કામદારો તથા અન્ય પછાત વર્ગ સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્થાન માટે અણમોલ કામ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્વિત કરી છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો છેવાડેના દરેક લોકો માટે ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેમણે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મેડિકલ, પેરા મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, ફેશન ડિઝાઈનીંગ તથા લૉ કોલેજનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે. આ કોલેજો આપણા પ્રદેશના બાળકોની શિક્ષણની ભૂખ ઉઘાડવા માટે શરૂ થઈ છે. તેથી પેટે પાટા બાંધીને પણ બાળકને ભણાવવા ઉપર તેમણે જોર આપ્યું હતું.
આ પ્રસંગે એકાઉન્ટન્ટ શ્રી રોહિત ગોહિલ સહિત ગામના યુવાનો અને બહેનોઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવંદનીય ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.