(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10
વલસાડના વશીયર ગામે રેલવેના નવિન પુલ માટે જરૂરી જમીન સંપાદન કરવા માટે અધિકારીઓની ટીમ ડિમોલીશન કરવા આજે શુક્રવારે સવારે પહોંચી હતી. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડિમોલીશનની કામગીરી હાલ પુરતી પડતી મુકવામાં આવી હતી. વલસાડ નજીક આવેલ વશીયર ગામે રેલવેનો નવો પુલ બનનાર હોવાથી તે અંગે જરૂરી જમીન સંપાદન કરવા જાહેર બાંધકામ વિભાગના ઈજનેર એમ.એન. પટેલ અને તેમની ટીમ પોલીસ સાથે વશીયર ગામે ડિમોલીશન કરવા પહોંચી હતી. પરંતુ પુલ માટે જે જમીન સંપાદન થનાર હતી તેમાં 7 જેટલા સ્થાનિકોના મકાન આવેલા હોવાથી તેમના મકાન તૂટી જશે, તેઓ ઘર વિહોણા થઈ જશે તે મામલે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોની ઉગ્ર રજૂઆત જોતા હાલ પુરતી ડિમોલીશનની કામગીરી પડતી મુકાઈ હતી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તા.16 ડિસેમ્બર પછી ફરી ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવવામાંઆવ્યું હતું.