મૃતક યુવાનના પિતાની ફરિયાદ બાદ સાતની ધરપકડ પોલીસે કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15
કપરાડાના આસલોણા ગામે લગ્ન વિચ્છેદના મામલે સમાજનું પંચ ન્યાય માટે એકઠું થયું હતું. જેમાં ધીંગાણુ થતા યુવાનને પંચની સામે જ ઢોરમાર મારવામાં આવ્યો હતો. 12 દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પિતાએ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આસલોણા ગામે બરડી ફળીયામાં રહેતો સંજય ભુસારા નામના યુવકની સગાઈ એજ ફળીયામાં રહેતી દુર્ગા ગવડી નામની યુવતી સાથે થઈ હતી. સગાઈ બાદ બન્ને પતિ-પત્નીની જેમ રહેવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ સંજય દમણમાં નોકરીએ લાગ્યો હતો. સંજય દમણ રહેતો તે દરમિયાન દુર્ગા તેના ઘરમાં નહી રહીને પિયરમાં રહેવા ચાલી જતી હતી. તેને લઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સંજયે સગાઈ તોડી નાખી હતી. તેથી ન્યાય કરવા માટે સમાજનું પંચ એકઠુ થયું હતું. તેમાં મામલો વધુ ઉગ્ર બનતા યુવતીના પક્ષવાળાઓએ પંચની સામે જ સંજયને ઢોર માર માર્યો હતો. ઘાયલ સંજયને ધરમપુર, ખેરગામ વલસાડ સારવાર માટે ખસેડેલો 12 દિવસ સારવાર લીધા બાદ સંજયનું મોત નિપજ્યું હતું. તેથી તેના પિતાએ યુવતી પક્ષના સાત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સાત આરોપીની ધરપકડ કરી હતી.