આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ સરસામાન બળીને રાખ થઈ જવા પામ્યો હતો. મધરાતે લાગેલી આગને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી.
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે મધરાતે અનાજ કિરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે દુકાન બંધ હોવાથી અન્ય જાન હાની થવા પામી નહોતી. રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ગામમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી હતી કે ચૂંટણી અદાવતમાં કોઈ ઈસમોએ દુકાનમાં આગ લગાડી હશે. કારણ જે હોય તે પણ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ આવ્યા બાદ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવાયો હતો.