પંચાયતના સભ્યોની 20 બેઠકમાંથી 11 બેઠક પર જીત હાંસલ કરી મેળવેલી સ્પષ્ટ બહુમતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22
ઉમરગામ તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં સરીગામ ગ્રામપંચાયતમાં અપેક્ષા મુજબ શ્રી રાકેશભાઈ રાય પ્રેરિત વિકાસ મંચ પેનલના સરપંચના ઉમેદવાર શ્રી સહદેવભાઈ વઘાતનો બહુમતી સભ્યોની પેનલ સાથે ભવ્ય વિજય થવા પામ્યો હતો. બીજી તરફ ભાજપા નામના ઓથા હેઠળ શ્રી દિપકભાઈ મિષાીની પરિવર્તન પેનલની નાવ કિનારે આવીને ડૂબી હતી. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાીનુ હોમ ગ્રાઉન્ડ બાલાજી વિસ્તારની બેઠક પણ બચાવવામાં નિષ્ફળ ગયા હતા અને એમના ભાણેજ શ્રી જીમી મિષાીનો અલકા પાર્ક વિસ્તારની બેઠક પણ ગુમાવતા ભાજપના આગેવાનોમાં સોપો પડી ગયો હતો. આ બંને બેઠક ગત ટર્મમાં ભાજપના આગેવાનોની પ્રેરિત પેનલે કબજે કરી હતી.
શ્રી રાકેશભાઈ રાયનીવિકાસ મંચ પેનલે પંચાયતના સભ્યોની 20 બેઠકમાંથી 11 બેઠક કબજે કરી સત્તા હાંસલ કરી છે. જ્યારે હરીફ પેનલ માત્ર નવ બેઠક કબજે કરવામાં સફળ રહી હતી. આ વખતે સરીગામ પંચાયતની ચૂંટણી ભાજપના આગેવાનો માટે પ્રતિષ્ઠાનો જંગ હતો કારણ ભાજપાના તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાી, તાલુકા સંગઠનના સહમંત્રી શ્રી સંદીપભાઈ આરેકર, અને કોષાધ્યક્ષ શ્રી નીરવ શાહ સહિતના ઘણા આગેવાનોનું હોમ ગ્રાઉન્ડ હતું તેમ છતાં શ્રી રાકેશભાઈ રાયની રણનીતિ સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. જેમાં શ્રી દિપકભાઈ મિષાીએ અંગત સ્વાર્થને કેન્દ્ર સ્થાને રાખી ડોક્ટર નીરવ શાહને પેનલની બહાર મુકવાની પકડેલી જીદ ભારે પડી ગઈ હતી. જેના કારણે ડોક્ટર નીરવ શાહ અંતિમ ઘડીએ પોતાની પેનલ મેદાનમાં ઉતારવા મજબૂર થઈ ગયા હતા જેમના સરપંચના ઉમેદવાર શ્રી ઉત્તમભાઈ ધુમાડાએ 945 મત હાંસલ કરી શક્તિનો પરિચય આપ્યો હતો. જે આંક સરપંચના વિજેતા ઉમેદવાર શ્રી સહદેવભાઈ વઘાતે હાંસલ કરેલી સરસાઈ કરતા વધુ છે. શ્રી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ચાર ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં સૌથી વધુ મત વિજેતા ઉમેદવાર શ્રી સહદેવભાઈ વઘાતને 4660 મત, શ્રી રમેશભાઈ ધુમાડા ને 4022 મત, શ્રી ઉત્તમભાઈ ધુમાડાને 929 મત ,અનેશ્રી સંદીપભાઈ પુલારને 660 મત મળ્યા હતા. આમ સહદેવભાઈ વધાતનો 538 મતે વિજયી થવા પામ્યો હતો. હવે વહીવટી અનુભવી અને પ્રજાના હિતને લક્ષમાં રાખી વિકાસને વેગ આપવામાં અગ્રેસર શ્રી રાકેશભાઈ રાયની પેનલના સરપંચના ઉમેદવાર શ્રી સહદેવભાઈ વઘાતનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થતાં સરીગામના પડતર પ્રશ્નોને વાચા મળશે એવું પ્રતિત થઈ રહ્યું છે.