દમણવાડાના નંદઘરથી પ્રભાવિત બનેલા નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ : દમણવાડા ગ્રા.પં. દ્વારા વિકસીત ન્યુટ્રીશ્યન ગાર્ડનની પણ કરેલી સરાહના
હવે શૂન્યથી ત્રણ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા અધિકારીઓને કરેલી ટકોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27
ભારત દેશના નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમે આજે દમણવાડા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા નંદઘરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ અને તેમની ટીમે નંદઘરની મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાથી ખુબજ પ્રભાવિત થયા હતા. તેમણે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતી પૂજા જૈન સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી અને શૂન્યથી ત્રણ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવા તાકીદ કરી હતી. અને આ બાબતે પોતાના નાવિન્ય પ્રયાસોની જાણકારી આપવા પણ જણાવ્યું હતું. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે દમણના નંદઘરના મોડેલથી પ્રભાવિત થતા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આ પ્રદેશ પાસે સબળ નેતૃત્વ શક્તિ છે અને તરવરિયા અધિકારીઓની ટીમ છે તેથી સમગ્ર દેશ માટે મોડેલ બની શકવાની સંપૂર્ણ ક્ષમતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાસે હોવાનો એકરાર કર્યો હતો.
દરમિયાન નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ અને તેમની ટીમેદમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિકસીત ન્યુટ્રીશ્યન ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયતના પ્રયાસોની સરાહના કરી અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવ, આરોગ્ય સચિવ ડો.એ.મુથમ્મા, શિક્ષણ અને મહિલા બાળ વિકાસ સચિવ શ્રીમતી પૂજા જૈન, મહિલા અને બાળ વિકાસ નિર્દેશક શ્રી જતિન ગોયલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ દમણવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.