(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30
ઉમરગામ તાલુકા દહાડ પંચાયતની હદમાં આઝાદી પહેલા નિર્માણ થયેલું સરસ્વતી ધામ (પ્રાથમિકશાળા દહાડ) અને એની જમીન સ્મૃતિ ધામ બનવાના બદલે અદ્રશ્ય થઈ જવા પામી છે. ગુલામીના સમયમાં સમાજના ઉત્થાન માટે ગામવાસીઓને સાક્ષરતા આપવાના નેક ઉદ્દેશથી તારીખ 28/11/1932ના રોજ કમળાબાઈ ચિંતામણી પિંપુટકરે છ ગુંઠા જમીન દાનમાં આપી હતી અને આ જમીન ઉપર ગામના દાનવીરોએ ફંડ એકત્રિત કરી ઈમારતી લાકડાંનું પાકુ મકાન બનાવ્યું હતું. આજે જેની કિંમત કરોડોમાં આંકી શકાય. હવે આ જમીન પ્રકાશ લેન્ડ ડેવલપર્સના કબજામાં છે અને સાબુત તરીકે ઉભેલું મકાન તોડી પાડી કીમતી ઈમારતી લાકડું સગેવગે કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીની લેખિતમાં કરવામાં આવી છે પરંતુ એક મહિનાના વિલંબ બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. જમીન પર યેનકેન પ્રકારે કબજો કરવા રચાયેલું ષડયંત્રમાં બની બેઠેલા વહીવટદારો અને સરકારી અધિકારીઓ કાયદાના સકંજામાં આવવાની પ્રબળ શકયતા છે. દાનમાં આપેલી જમીન પર પ્રાથમિક શાળા કાર્યરત હતી. અને ગામ નમૂનો નંબર 12માં જમીનના કબજેદાર તરીકે શાળાના વ્યવસ્થાપક દિનશાજી સાપુરજી, મંચરસા માણેકજી, જીવણજી ખુશાલભાઈ, માણેકલાલ જમનાદાસ, હરિલાલ નરોત્તમ, નેમચંદ દેવસી, મહોનસી કલ્યાણજી, દયારામ કલ્યાણજી, સોરાબજી એદલજી,બાલકળષ્ણ બરાતનના નામનો ઉલ્લેખ દ્રશ્યમાન થાય છે. સંજોગો વસાત પ્રાથમિક શાળાનું સ્થળ બદલાઈ ગયું પરંતુ આ સ્થળે નિર્માણ કરવામાં આવેલંું ભવ્ય અને ઉપયોગી મકાન અડીખમ હતું જેમાં અંતિમ સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું. હાલમાં આ મકાન અદ્રશ્ય છે અને જમીન ઉપર પ્રકાશ ડેવલપર્સના ભાગીદારોનો કબજો છે. આ જમીન ઉપર બગડેલી દાનત ના કારણે પચાવી પાડવા કરેલા ષડયંત્રનો ઘટનાક્રમ અભ્યાસનો વિષય બની જવા પામ્યો છે. જેમના અનેક મજબૂત પુરાવા જોતા કલેકટરશ્રીની તપાસની આવશ્યકતા જણાઈ રહી છે. શાળાના વ્યવસ્થાપક સમિતિ તરીકે ગેરકાયદેસર મંડળીની સ્થાપના કર્યા બાદ અલગ-અલગ વર્ષે ઠરાવોનું લખાણ કર્યું છે. પરંતુ લખાણ જોતા એક જ સમયે એક જ વ્યક્તિએ અને એક જ પેનથી લખ્યું હોય એવું અનુમાન લગાવાય રહ્યું છે. અને ઓરીજનલ કબજેદારોને હટાવી નિયમ વિરુદ્ધ બીજાને માલિક બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી દફતરે ફેરફારનો નંબર 642 અને 643 એક જ દિવસે કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણાના પગ નીચે રેલો આવવાની શકયતા નકારાતી નથી.