-
દરરોજ વિવિધ ગ્રામ પંચાયતોમાં સવાર અને સાંજની ચૌપાલનું થઈ રહેલું આયોજન
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સંઘપ્રદેશને ડસ્ટબીન ફ્રી પ્રદેશ બનાવવા સ્વચ્છતાને આપેલી સર્વોચ્ચપ્રાથમિકતાના કારણે દોડતું થયેલું આખું તંત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02
અગામી 26મી જાન્યુઆરીથી પ્રદેશમાં લાગુ થનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ ડ્રિસ્ટ્રીક્ટ / ગ્રામ પંચાયત સોલિડ વેસ્ટ (હેન્ડલિંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ-2021ને સફળ બનાવવા માટે દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ છેડેલા અભિયાનથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. જિલ્લાની દરેક ગ્રામ પંચાયતો દ્વારા સવાર અને સાંજના સમયે થઈ રહેલી ચૌપાલ (ચોતરા) બેઠકથી ગ્રામજનોને પણ નવિનતા સાથે માહિતી મળી રહી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને ડસ્ટબીન ફ્રી પ્રદેશ બનાવવા નિર્ધારિત કરેલા લક્ષ્યની સાથે સ્વચ્છતાની બાબતમાં નાની સરખી બેદરકારી પણ બરદાસ્ત નહીં કરવા અપનાવેલી નીતિના ભાગરૂપે સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયત દ્વારા જનભાગીદારીની સાથે કામગીરી શરૂ કરી છે. જેના ફળ સ્વરૂપ ગ્રામ પંચાયતોના સરપંચો, સેક્રેટરીઓ તથા અન્ય સ્ટાફ પણ પ્રશાસનના અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.