(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા શરૂ કરાયેલા નવીન અભિગમમાં હેલ્પલાઇન દ્વારા જો કોઇ પોઝીટીવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં હોય ત્યારે તેને મેડીકલ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો સબંધિત આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સાથે વાત કરાવવા અથવા જરૂર પડે તો મેડીકલ ટીમ દ્વારા વિઝીટ કરી તેઓ દ્વારા જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. આ ઉપરાંત જે વ્યક્તિ ચાલી ન શકે તેવા દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને માટે ઓન કોલ જેઓએ ટેસ્ટિંગ કરાવવાની જરૂરિયાત હોય તેઓના ઘરે ટીમ દ્વારા જઈને કોવિડ-૧૯ના તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવશે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો એવા પણ છે જે વેક્સીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘર બેઠા વેકસીનેશન કામગીરી આ અગાઉ શરૂ કરવામાં આવી છે.
આ સેવામાં તા.૧૨/૧/૨૨ને સાંજે ૧૭-૦૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ૩૫ કોલ મળ્યા છે. જેમાંથી ૩૪ દર્દીઓને મેડીકલ ઓફીસરશ્રી દ્વારા ઘરે જઇને સારવાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. તા.૧૨-૦૧-૨૦૨૨ ના રોજ ૯ કોલ મળ્યા હતા, જે તમામને ઘરે જઈને સારવાર આપવામાં આવી છે. આ અભિગમ અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૩૪ દર્દીઓને સારવાર તથા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે.
હેલ્પ લાઇન કંટ્રોલ રૂમમાં જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓએ જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા પોઝીટીવ લોકો હોમ આઇસોલેશનમાં હોય ત્યારે તેઓને અને જે વ્યક્તિ ચાલી ન શકે તેવા દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઘર બેઠા ટેસ્ટિંગ સેવા પુરી પાડવામાં આવશે. જેના માટે હેલ્પ લાઇનમાં લાભાર્થીએ મોબાઇલ નંબર રહેણાંકનું પુરૂ સરનામુ અચુકપણે આપવાનું રહેશે.
જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવા અભિગમની સેવાનો લાભ લેવા જાહેર જનતાને આરોગ્ય વિભાગ વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ ખાતેનો હેલ્પલાઇન ૦૨૬૩૨-૨૫૩૩૮૧ છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.