(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.30
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છ દીવસીય દીવની મુલાકાતે હતા. તેમણે પોતાની દીવ મુલાકાત પૂર્ણ કરી આજે બપોરે દીવથી દમણ આવવા માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની છ દિવસીય દીવ મુલાકાતમાં પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસે ધ્વજવંદન કર્યું હતું. તેમજ ભારતીય નૌસેનાથી નિવૃત આઈએનએસ ખુકરી, પી-49, દીવમાં ભારતીય નૌકાદળનું ઉદ્ઘાટન કરી દીવવાસીઓને નવા વર્ષમાં નવી ભેટ આપી હતી. મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં ચાલી રહેલા વિકાસના કામોને વેગ આપવા માટે અધિકારીઓ, એજન્સીઓ અને સલાહકારો સાથે બેઠકો યોજી હતી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી અનેક સ્થળોની મુલાકાત લઈને કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રશાસકશ્રીએદીવની મુલાકાત દરમિયાન વણાંકબારા ખાતે નવનિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ડીએમસી અને ફીશ માર્કેટનું ઉદ્ઘાટન કર્યું અને વિક્રેતાઓને દુકાનો અને કાઉન્ટરોના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા સૂર્યોદય આવાસ યોજના હેઠળ બનેલા પાકા મકાનોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને તેની ચાવી પ્રદાન કરી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીવ મુલાકાત લોક કલ્યાણના કાર્યોને સંબંધિત રહી હતી.