વલસાડ તા.૦૪: સમગ્ર રાજ્યમાં લાંબા સમયથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વલસાડ જિલ્લામાં હાલ કોરોનાની રફતાર ધીમી પડી હોઇ કાબુમાં આવી રહયો હોવાનું જણાઇ રહયું છે, જેના લીધે લોકો રાહતનો શ્વાસ લઇ રહયા છે. પરંતુ કોરોનાનો ખતરો હજુ પણ યથાવત છે. જેથી પ્રજાજનોને સાવચેતી રાખી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરે તે હિતાવહ છે.
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીકરણના બન્ને ડોઝ લઇ લેવા જરૂરી છે. વધુમાં પ્રિકોશન લેવાને પાત્રતા ધરાવતા લોકો પણ પ્રિકોશન ડોઝ લઇ પોતે, પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી સુરક્ષિત કરે એ આજના સમયની જરૂરિયાત છે. જેથી કોરોના સંક્રમણ વધતું અટકાવી શકીએ. ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭માં જન્મેલા તમામ બાળકો કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ તેમજ જેમણે પ્રથમ ડોઝ મૂકવ્યાને ૨૮ દિવસ પૂર્ણ થયા છે, તેમને બીજો ડોઝ પણ સમયસર લઇ લે તે આવશ્યક છે. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ રસીકરણ માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધરમપુર તાલુકાના ધામણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હસ્તકના ફુલવાડી ખાતે એડોલેશન્ટ ફ્રેન્ડલી હેલ્થ કિલનીકનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭માં જન્મેલા વ્યક્તિઓને કોરોના વેકસીન અંગે જરૂરી સમજણ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ લોકો કોવિડ રસીકરણનો લાભ લે તેવી અપીલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.