વલસાડ તા.૦૪: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા નર્મદા સેવા અને શ્રમ શિબિર-૨૦૨૧-૨૨ અંતર્ગત ૭ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી ૧૫૦ યુવક-યુવતીઓને તક મળશે.
આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ સરનામું, મોબાઇલ નંબર, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/ પર્વતારોહણ/ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખકાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૧૦/૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બીજો માળ, રૂમ નંબર ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા-નર્મદાને મોકલી આપવાની રહેશે.
આ શિબિરમાં જોડાવા માટે પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૫૦ યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલા યુવક-યુવતીઓને ફોન/ પત્ર જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા-જવાનું ભાડું સરકાર તરફથી આપવામાં આવશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.