દિલ્હી ખાતે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને સીઈસીની બેઠકમાં દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્માએ આપેલી હાજરી
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને વાર્ષિક રૂા.1 લાખ અને યુવાનોને નોકરી નહીં મળે ત્યાં સુધી વાર્ષિક રૂા.1 લાખની સહાયની કરેલી જાહેરાતઃ કોંગ્રેસનો ન્યાયપત્ર દાદરા નગર હવેલીની છંછેડાયેલી પ્રજાને ન્યાય આપવાનું સાધન બનશેઃ કોંગ્રેસ પ્રમુખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : લોકસભા ચૂંટણીના ભાગ રૂપે, કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે ન્યાય પત્રના નામે એક ઢંઢેરો બહાર પાડયો હતો, જે દરમિયાન શ્રી રાહુલ ગાંધી, શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર હતા. કોંગ્રેસે આ વખતનામેનિફેસ્ટોમાં 25 ગેરંટી આપી છે. કોંગ્રેસ અનુસાર, પાર્ટીના પાંચ ન્યાય – ‘શેરહોલ્ડર ન્યાય’, ‘કિસાન ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘લેબર ન્યાય’ અને ‘યુવા ન્યાય’ને ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસ ચૂંટણી સમિતિ અને ઘોષણાપત્રની બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા પણ હાજર રહ્યા હતા. આ અવસરે દાનહ લોકસભા બેઠકમાં આગામી ચૂંટણી માટેના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ઉમેદવારના નામની જાહેરાત શુક્રવારની રાત્રે અથવા શનિવારે સવારે કરવામાં આવશે.
શ્રી મહેશભાઈ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાજના દરેક વર્ગનું ખૂબ જ નજીકથી ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ માટે રૂા.100,000, યુવાનો માટે રૂા.100,000 આપશે. તેમજ ખેડૂતોની ખાસ માંગ રહેલી એમ.એસ.પી.ની પણ ગેરંટી આપશે. કોંગ્રેસ સરકાર દ્વારા શ્રમ ન્યાય મનરેગા હેઠળ પણ લઘુત્તમ વેતન રૂા. 400 આપવામાં આવશે. આ સિવાય મહિલાઓના ઉત્થાન માટે, ખેડૂતો માટે, યુવાનો માટે આર્થિક અને સામાજિક સ્તરે અને પાર્ટી બદલતા લોકોમાટે ખાસ કામ કરવા માટે કડક નિયમો લાવવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત પછાત લોકો, આદિવાસી સમુદાય અને સમાજના તે તમામ વર્ગો આર્થિક રીતે નબળા એવા પછાત લોકો માટે વિશેષ યોજનાઓ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ગેરંટી માત્ર જૂમલો છે, કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે. શ્રી મહેશભાઈ શર્માએ કહ્યું કે અમારા નેતા શ્રી રાહુલ ગાંધીએ પૂછયું છે કે વર્તમાન ભાજપ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તેઓ કેવો દેશ બનાવવા માંગે છે, સમગ્ર દેશના તમામ સંસાધનો કેવી રીતે મર્યાદિત લોકોના હાથમાં સોંપવામાં આવ્યા છે? આ સાથે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરા દ્વારા દેશને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કોંગ્રેસનો હાથ પરિવર્તન લાવશે જ.
કોંગ્રેસ પાર્ટી દરેક કાયદાને ખતમ કરશે કે જે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના વિચારની વિરુદ્ધ છે. કોંગ્રેસ માનહાનિના ગુનાને અપરાધિક બનાવશે.