(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.18
આગામી 24 માર્ચના રોજ યોજનારી યુઆઇએના 15 એક્ઝિકયુટિવ કમિટીની ચૂંટણી જંગમાં આજરોજ ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે 34 દાવેદારી રજુ થતા ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. યુઆઇએમાં છેલ્લી ત્રણ ટર્મથી ચાલતા એક હથ્થુ શાસન સામે ઉદ્યોગપતિઓમાં પરિવર્તન લાવવાની ઈચ્છા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાલમાં શાસન કરતી પેનલના મોવડીની ઈચ્છાની વિરુદ્ધ 15 સભ્યોની બનેલી એક પેનલે દાવેદારી રજુ કરી છે. આ પેનલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વહીવટી જ્ઞાન ધરાવતા તેમજ કામ કરવાની ત્રેવડ જેમની પાસે છે એવા શ્રી સચીન ભાઈ કોન્ટ્રાક્ટર અને શ્રી રામશબદસિંગે પણ યુઆઈએની ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમીકરણો બદલાવવાના સંકેત મળી રહ્યા છે. પેનલના અગ્રણી ઉદ્યોગપતિ અને વહીવટમાં નિપૂણ શ્રી દામોદર પાનીકર માહિતી આપતા જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં જોઈએ એવી કામગીરી થવા પામી નથી. પાયાની સવલતો ઊભી કરવામાં તેમજ ઔદ્યોગિક વિસ્તાર સ્વચ્છ અને સુંદર બનાવવામાં નિષ્ફળ છે.
આ ઉપરાંત વળક્ષારોપણની કામગીરી પણ થવા પામી નથી. ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝએસોસિએશન 872 સભ્યોનું કદ ધરાવે છે. જેમાંથી કેટલાક સભ્યોની રજિસ્ટ્રેશન ફી ભરવાની બાકી છે જેમની અંતિમ તારીખ 19મી માર્ચ સાંજના પાંચ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. હાલમાં યુઆઇએનો જંગ બે પેનલો વચ્ચે ખરાખરીનો બની રહેશે એવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે.
Previous post