(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18
ચીખલીતાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરે તપાસ સોંપવામાં આવી છે.
ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના પ્રદેશ મહામંત્રી શ્રી પંકજભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર અને સીએમ કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે દેગામ ગામની હદ વિસ્તારના પનિયારી નદીના પટમાં દબાણ કરી સર્વે નંબર-1928માં વારી શ્રી ગોડીજી ફેક્ટરીના નામે સોલાર પેનલ યુનિટ સ્થાપેલ છે. જે યુનિટના કારણે આસપાસના ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
આ કંપનીએ કરેલ દબાણના કારણે ચોમાસામાં પાણીનો ભરાવો આસપાસમાં ખેડૂતોની જમીનમાં થવાની સંભાવના છે.પાક અને જમીન ધોવાણની શકયતા છે અને આવી રીતે ગામના ખેડૂતો પાયમાલ બને તેમ છે.
કંપનીમાં સ્થાનિકોને કોઈપણ પ્રકારની રોજગારી આપવામાં આવતી નથી સ્થાનિક ગરીબ લોકો વધુ બેરોજગાર બનેલ છે. નિયમ વિરુદ્ધ બહારના કામદારો રાખી કંપનીના નિયમનો ભંગ કરી રહી છે.
હાલ કંપનીમાં જે કામદારો બહારથી લાવવામાં આવેલ છે.તેની પાસે 12-કલાક કરતા વધુ સમય કામ કરાવવામાં આવે છે.અને 8-કલાક કરતાં વધુ કામ કરવામાંઆવે તો ઓવરટાઈમના નિયમ મુજબ વેતન આપવું જોઈએ.
ઉપરોક્ત માંગણી ન સંતોષાય તો કંપનીના ગેટ પાસે સત્યાગ્રહ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી. જેમાં સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટરને અરજદારશ્રીઓની રજૂઆત પરત્વે સત્વરે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરી ન્યાયી ઉકેલ લાવવા અને સત્યાગ્રહ બાબતે તકેદારીના પગલાં લઇ ઘટતી કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.